News of Friday, 18th October 2019
શહેરમાં ડેંગ્યુના રોગચાળા અંગે કોંગ્રેસે ખોટો હાઉ ઉભો કર્યો છે અને માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ પત્રકાર પરીષદમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે તથા મેયર બીનાબેન આચાર્યએ કર્યો હતો. તે વખતની તસ્વીરમાં આ તકે ઉપસ્થિત મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડે. કમિશ્નર ચેતન ગણાત્રા, ડે. મેયર અશ્વીન મોલીયા, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, આરોગ્ય અધિકારી ડો.રાઠોડ વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૮: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેંગ્યુ-મેલેરીયા ફેલાયો છે અને ર૦ હજારથી વધુ દર્દીઓ હોવાનું જાહેર કરાયું છે. તે આંકડા તદન ખોટા હોવાનું અને હકીકતે શહેરમાં ડેંગ્યુના દર્દીઓની સંખ્યા માત્ર ૩૯૮ હોવાનું તેમજ રોગચાળો ઘટી રહયો છે છતા વિપક્ષ કોંગ્રેસી આગેવાનો માનસીક રીતે ડેંગ્યુગ્રસ્ત બની ચુંટણીલક્ષી ખોટા રાજકીય સ્ટંટ કરીને પોતાના રાજકીય રોટલા શેકવા પ્રજાને ભરમાવીને ડેંગ્યુનો ખોટો 'હાઉ' ઉભો કરી રહયાના સણસણતા આક્ષેપો સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે કર્યો છે.
આજે સવારે મ્યુ. કોર્પોરેશનમાં યોજાયેલી પત્રકાર પરીષદમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવેલ કે કોંગ્રેસ દ્વારા રોગચાળા બાબતે છેલ્લા ત્રણ દિવસથી જે વિરોધાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અને ડેંગ્યુ-મેલેરીયાના જે આંકડાઓ રજુ કરવામાં આવે છે તે તદન અવાસ્તવિક છે. આ પ્રકારે ખોટી માહીતી ફેલાવી પ્રજામાં જાહેર આરોગ્ય બાબતે ભય ફેલાવવો તે અત્યંત ગંભીર બાબત છે. છતા વિરોધી માનસીકતા ધરાવતા કોંગ્રેસના મિત્રો આ કૃત્ય કરી રહયા છે તે અયોગ્ય છે એટલે જ પ્રજાએ તએોને કયાંય સ્થાન આપ્યું નથી.
આ તકે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા આરોગ્ય અધિકારી ડો. રાઠોડે રાજકોટ શહેરમાં ડેગ્યુ -મેલેરીયાની સાચી સ્થિતિની આંકડાકીય માહીતી આપતા સ્પષ્ટ કર્યુ હતું.
હાલમાં ડેંગ્યુનો રોગચાળો અત્યંત વકરી રહયાનું એટલા માટે લાગી રહયું છે
કે ડોકટરોને દર્દીમાં ડેગ્યુનાં લક્ષણો દેખાતા ડોકટર દર્દીના લોહીનું પરીક્ષણ વાઇરલ રોગ માટે કરવામાં આવતી રેપોટેડ ડાયોજીટીટ ડાયોમોઇડ કીટ પધ્ધતીથી કરવામાં આવે છે. અને તે મુજબ દર્ર્દીને ડેંગ્યુમાં જે સારવાર અપાય છે તે જ સારવાર દર્દીને આપવામાં આવી છે. તેથી ડેંગ્યુના દર્દીઓનો આંકડો મોટો લાગે છે.
કમિશ્નર શ્રી અગ્રવાલે ખાસ સ્પષ્ટ કર્યુ હતું કે ડેંગ્યુનો 'એલીઝા ટેસ્ટ' જ દર્દીને ડેંગ્યુ હોવાનું સાબીત કરે છે અને આ ટેસ્ટ શહેરની માત્ર સીવીલ હોસ્પીટલ તથા પદ્મકુંવરબા હોસ્પીટલમાં જ થાય છે તે મુજબ છેલ્લા બે મહીનામાં ૩૯૮ કેસ નોંધાયા છે અને હવે આ રોગચાળો ઘટી રહયો છે કેમ કે ડેંગ્યુનો રોગ દર વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબરમાં વધુ ફેલાય છે. ગત વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબરમાં ૭૮૩ દર્દી ડેંગ્યુના નોંધાયેલ જેની સરખામણીએ આ વર્ષે ૩૯૮ દર્દીઓ જ નોંધાયા છે. એ મુજબ જોઇએ તો હવે નવેમ્બરથી ડેગ્યુનો રોગચાળો લગભગ નાબુદ થઇ જશે.
મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે મ્યુ. કોર્પોરેશનનાં અધિકારીઓ અને ભાજપનાં કોર્પોરેટરો સતત બે મહીનાથી ફીલ્ડમાં છે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧પ,૯૬૬ ઘરોમાં ફોગીંગ કરાયું છે અને ૧૦ લાખ ઘરોમાં તપાસ કરવામાં આવી છે. ૭૯ આરોગ્ય કેમ્પો યોજયા છે. જેમાં દર્દીઓને વિનામુલ્યે સારવાર-દવા વિતરણ થાય છે. આમા તંત્ર રોગચાળાને કાબુમાં લેવા સતત દોડી રહયાનું મેયરશ્રીએ જણાવેલ.