Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પોલીસ શસ્ત્રાગારમાં શસ્ત્ર પૂજનઃ શસ્ત્ર એ શકિત...'શકિત'નો ઉપયોગ સમાજના દૂષણોને ડામવા થતો રહ્યો છે અને થશે

રાજકોટઃ વિજ્યા દશમીનું પર્વહિન્દુ ધર્મનું મહત્વનું પર્વ છે. અસત્ય પર સત્યના વ્જિયનું પર્વ છે. રામે રાવણનો વધ કર્યાની ઉજવણીનું પર્વ છે. આ પર્વને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષત્રિયો આ દિવસે શસ્ત્રોનું પૂજન આદિ-અનાદિ કાળથી કરતાં આવ્યા છે. આ પરંપરા આજે પણ યથાવત છે. શસ્ત્રને પુરાણોમાં પણ શકિતરૂપ ગણવામાં આવ્યા છે. આ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં થાપ ન ખાઇ જવાય તેવી ભગવાન પાસે તેમનું પૂજન કરીને પ્રાર્થના કરવામાં આવે છે. રાજા-રજવાડાઓના સમયમાં સેના-લશ્કર દૂશ્મનોનો ખાત્મો કરવા નીકળે તે પહેલા પણ શસ્ત્રોનું સમુહ પૂજન કરતાં હતાં. વર્તમાન સંજોગોમાં લશ્કર, પોલીસ સહિતના દળો સમાજના રક્ષકો છે. હિન્દુ પરંપરા મુજબ સરકારી શસ્ત્રાગારોમાં પણ વિજ્યાદશમીના દિવસે હથીયારોનું પૂજન વિધીવત પૂજન કરવામાં આવે છે. આજે રાજકોટ પોલીસ હેડકવાર્ટર સ્થિત શસ્ત્રાગારમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શસ્ત્રોનું પૂજન આરતી કરવામાં આવેલ. ત્યારે ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. કે. ઝાલા, એસીપી બી. બી. રાઠોડ અને હેડકવાર્ટરના ઇન્ચાર્જ પી.આઇ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીરમાં એ. કે. ૪૭, એસએલઆર-ઇન્સાસ, એમપી-૫, લાઇટ મશીન ગન, કાર્બાઇન પિસ્તોલ, ગેસ ગન સહિતના બર્સ્ટ ફાયર કરતાં આધુનિક હથીયારો, સ્ટેનગન, રાઇફલ, પિસ્ટલ, તલવાર સહિતના હથીયારોનું પૂજન થઇ રહેલું નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૪)

(3:36 pm IST)