Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધ્રોલના દિવ્યરાજસિંહની હત્યામાં વોન્ટેડ બે આરોપી પકડાયા

અગાઉ ૪ શખ્સોની ધરપકડ કરાઇ'તી : શુટરોબોલાવી રેકી કરનારા ઓમદેવસિંહ જાડેજા તથા વોચ રાખનાર નરેન્દ્રસિંહ જાડેજા રે. બન્ને હાડાટોડાને ચોટીલા પાસેથી રેન્જની ટીમ તથા જામનગર એલસીબીની ટીમે દબોચી લીધા :ફરાર બન્ને આરોપી સામે કલમ ૭૦ મુજબ વોરંટ ઇન્યુ કરાયા'તા અને લુક આઉટ નોટીસ પણ પ્રસિદ્ધ કરાઇ'તી બન્નેના કબ્જામાંથી ત્રણ પિસ્તોલ મળી આવી

તસ્વીરમાં રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ પત્રકાર પરિષદમાં માહિતી આપતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં પકડાયેલ બન્ને આરોપીઓ (નીચે બેઠેલા) સાથે રેન્જ તથા જામનગર પોલીસનો કાફલો દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૮ : ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજાના જાડેજાના ચર્ચાસ્પદ હત્યાના બનાવમાં છ માસથી વોન્ટેડ બે આરોપીઓને રાજકોટ રેન્જ તથા જામનગર એલસીબીની ટીમે દબોચી લીધા હતાં. બન્ને પાસેથી ત્રણ પિસ્તોલો મળી આવતા કબ્જે કરાઇ છે.

આ અંગે રેન્જ આઇ.જી. કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા રેન્જ આઇ.જી.પી. સંદીપસિંહે જણાવ્યું હતું કે, ગત ૬-૩-ર૦ર૦નાં રોજ ધ્રોલ ત્રિકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા રે. ગાયત્રીનગર ધ્રોલ ઉપર ચાર શખ્સોએ સરાજાહેર ફાયરીંગ કરી હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં અગાઉ અનિરૂધ્ધસિંહ સોઢા રે. જામનગર, મુસ્તક રફીક પઠાણ, અજીત વિરપાલસિંહ ઠાકુર તથા અખલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુરની ધરપકડ કરાઇ હતી અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. મૃતક દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે થયેલ તકરારનો ખાર રાખી અનિરૂધ્ધસિંહે પૂર્વયોજીત કાવત્રુ રચી દિવ્યરાજસિંહની હત્યા કરી નાંખી હતી.આ ગુન્હામાં શુટરો બોલાવી રેકી કરાવનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા રે. હાડાટોડા તા. ધ્રોલ તથા મૃતકની પ્રવૃતિ ઉપર વોચ રાખી રેકી કરનાર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રે. હાડાટોડા તા. ધ્રોલ ફરાર હોય બન્ને વિરૂધ્ધ કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ તેમજ લુકઆઉટ નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

દરમિયાન આ બન્ને ફરાર આરોપીઓને ઝડપી લેવા રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ તથા જામનગર એસ.પી. શ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પાંચ ટીમો કાર્યરત હતી બન્ને આરોપીઓનું સાયન્ટીફીક ઇન્ટેલીજન્સ દ્વારા સતત મોનીટરીંગ કરી ટ્રેસ કરાતા બન્ને આરોપીઓ ચોટીલાથી જસદણ જવા પેરવી કરી રહેલ હોવાની હકિકત સાયબર સેલના પી.આઇ. આર. કે. ડોડીયા, જામનગર એલસીબીના પી.આઇ. એમ. જે. જલુ તથા પી.એસ.આઇ. કકે.કે.ગોહિલને મળતાં વોચ ગોઠવી બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. બન્નેના કબ્જામાંથી ત્રણ પિસ્તોલ તથા મોબાઇલ મળી આવતા પોલીસે કબ્જે કર્યા હતા. પકડાયેલ બન્નેને ધ્રોલ પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજાના હત્યાના બનાવમાં અત્યાર સુધીમાં કુલ ૬ શખ્સોની ધરપકડ કરાઇ છે અને ફાયરીંગ કરનાર આરોપી રોહિતસિંહ ઉર્ફે સોનુ સીંગ રામપરસાદસીંગ ઠાકુર રે. (યુ.પી.) નાસતો ફરતો ફરે છે.

આ કાર્યવાહીમાં જામનગર એલસીબીના પી.એસ.આઇ. આર. બી. ગોજીયા, આર. આર. સેલના નાસતા ફરાર સ્કવોડના પી.એસ.આઇ. જાવીદભાઇ ડેલા, એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઇ મકવાણા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, સુરેશભાઇ માલકીયા, ભરતભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા, એ.બી. જાડેજા, આર. આર. સેલના સાયબર સેલનો સ્ટાફ તથા નાસતા ફરતા સ્કોડનો સ્ટાફ જોડાયો હતો.

(3:51 pm IST)