Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કારખાનેથી છુટીને ઘરે જ રહેલા અરવિંદગીરી ગોસ્વામીનું સાઇકલ પરથી પડી જતાં મોત

કોઠારીયા સોલવન્ટ હરિદ્વાર સોસાયટીમાં બનાવઃ બાવાજી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટ હરિદ્વાર સોસાયટી-૨માં રહેતાં અરવિંદગીરી દેવગીરી ગોસ્વામી (ઉ.વ.૫૫) નામના બાવાજી પ્રોૈઢ સાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે સાઇકલ પરથી પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રામજીભાઇ પટેલે જાણ કરતાં આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કારખાનામાં કામ કરતાં હતાં. ત્યાંથી છુટીને ઘરે આવી રહ્યા હતાં ત્યારે ચાલુ સાઇકલે હાર્ટએટેક આવી ગયો હતો. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:14 pm IST)