Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજકોટના સાયબર ક્રાઇમના પ્રથમ ગુનામાં પકડાયેલ હરીયાણાના બે શખ્સોની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

આરોપીઓએ એસ.બી.આઇ.ના એટીએમ મશીન સાથે છેડછાડ કરી છેતરપીંડી કરી હતી

રાજકોટ તા. ૧૮ : રાજકોટમાં નોધાયેલ સાયબર ક્રાઇમના બેંક છેતરપીંડીના પ્રથમ ગુન્હામાં રાજકોટની સેસન્સ અદાલતે આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી હતી.

આ બનાવ અંગે રાજકોટની એસ.બી.આઇ.ની મુખ્ય બ્રાંચના મેનેજર રમેશભાઇ ચાવડાએ ફરીયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત મુજબ હરીયાણાના મેવાત જીલ્લામાં રહેતા આરોપી ઇમરાન મહમદ હનીફખાન અને મહમદ અઝરૂદીન મહમદ ઇલ્યાસદીને તેઓના ગામોના જુદા જુદા લોકોના એટીએમ કાર્ડ મેળવી રાજકોટ આવેલા અને સદરહું બેંકના એટીએમ મશીનમાં કાર્ડના ઉપયોગ કરી જેવા મશીમાંથી પૈસા બહાર નીકળે એટલે તુરંત જ મશીનની લાઇટ બંધ કરી દેતા જેના કારણે બેંકમાં રકમ ઉપાડવાની એન્ટ્રી પડી શકે નહિ ત્યારબાદ બેંકના ટોલ-ફ્રી નંબર ઉપર કાર્ડ ધારકનું નામ ધારણ કરી પૈસા મળેલ નથી. તેવી બેંકોને રજુઆત કરી બેંકમાં રકમ જમા કરાવી બાદમાં ખાતામાંથી રકમ ઉપાડી લેતા અને તેમાંથી પ૦ ટકા રકમ જે તે કાર્ડધારકને આપી બાકીની રકમ પોતે ઓળવી જતા હતા.

આ બનાવ અંગે રાજકોટમાં પ્રથમ સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો. આ બનાવ તા. ૧૩/૧૦/૧૮ થી તા. ૮/૧/૧૯ ના અરસામાં બનેલ હતો.

પોલીસે આ ગુનાઓ ઉપરોકત બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરતા આરોપીઓએ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકિલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામે ગંભીર ગુનો છે. આવા ગંભીર પ્રકારના આર્થિક ગુનામાં આરોપીઓને જામીનપર છોડી શકાય નહિ.

ઉપરોકત રજુઆત તથા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી બ્રહ્મભટ્ટે આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.મુકેશભાઇ પીપળીયા રોકાયા હતા.

(3:39 pm IST)