Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લગ્નની છઠ્ઠી એનિવર્સરીને દિવસે જ બારોટ પરિણીતા ગીતા રાઠોડનું મોત

ત્રિશુલ ચોકની બેબીકેર હોસ્પિટલમાં નવજાત પુત્રીને પેટ ભરાવ્યા બાદ થોરાળાની પરિણીતાને અચાનક આંચકી ઉપડી ને શ્વાસ થંભી ગયાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: નવા થોરાળા મેઇન રોડ પર બાલકદાસની જગ્યા પાસે રહેતી ગીતાબેન મનિષ રાઠોડ (ઉ.૨૪) નામની બારોટ પરિણીતા ત્રિશુલ ચોકમાં આવેલી બેબી કેર હોસ્પિટલ ખાતે હતી ત્યારે આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. લગ્નની છઠ્ઠી એનિવર્સરીને દિવસે જ આ બનાવ બનતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર ગીતાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર હતો અને ૧૪મીએ જ તેણે બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. આ નવજાત બાળકીની તબિયત સારી ન હોઇ તેને બેબીકેર હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી. ગઇકાલે ગીતાબેને આ પુત્રીને પેટ ભરાવ્યા બાદ ચા બિસ્કીટ ખાધા હતાં. એ પછી અચાનક આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. ગીતાબેનના માવતર આંબરડી રહે છે. પતિ મનિષ મનુભાઇ બારોટ છુટક મજૂરી કરે છે.

નવજાત પુત્રી સહિત બે સંતાન મા વિહોણા થઇ જતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(3:33 pm IST)