Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોરબી રોડ હરિહર સોસાયટીના ચંદુભાઇ પટેલનો ઝેર પી આપઘાત

પાંચ વર્ષથી પગનો દુઃખાવો હોઇ કંટાળી ગયા'તાઃ રામાણી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર હરિહર સોસાયટીમાં વાસુદેવ સ્કૂલ સામે રહેતાં ચંદુભાઇ ગંગદાસભાઇ રામાણી (ઉ.૪૮) નામના પટેલ આધેડે ગઇકાલે ઝેર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે તેમનું મોત નિપજતાં પરિવારમાજનોમાં શોક છવાઇ ગયો હતો. પગના દુઃખાવાથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

ચંદુભાઇએ ગઇકાલે સવારે ઝેર પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે અહિ આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ જે. આર. સરવૈયા અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ચંદુભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ તથા અપરિણીત હતાં. પાંચેક વર્ષથી તેમને પગનો દુઃખાવો થઇ ગયો હોઇ સારવાર ચાલુ હતી. આ કારણે કામ પણ કરી શકતાં નહોતાં. દુઃખાવાથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:50 pm IST)