Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વેલનાથપરાની ૧૪ વર્ષ ૮ માસની બાળાને જામનગરના અપીયાનો રામદે ભગાડી ગયો

પડોશી સગાને ત્યાં પાણીનો ખાલી હાંડો મુકવા ગયા બાદ લાપત્તા : આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રણુજા મંદિર સામે લાપાસરી રોડ પર વેલનાથપરા-૨માં રહેતી ૧૪ વર્ષ અને ૮ માસની બાળા ઘરેથી પડોશમાં જ રહેતાં સગાના ઘરે પાણીનો હાંડો મુકવા ગયા બાદ ગાયબ થતાં તેણીને જામનગરના અપીયા ગામનો શખ્સ ભગાડી ગયાની શંકા દર્શાવાતાં પોલીસે એ શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે રંજનબેન બટુકભાઇ રવેશા (કોળી) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી મુળ જામનગરના અપીયા ગામના રામ ઉર્ફ રામદે રાણાભાઇ મકવાણા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. રંજનબેને એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે પતિ-સંતાનો સાથે રહે છે અને સંતાનમાં ચાર દિકરી તથા એક દિકરો છે. જેમાં સોૈથી નાની દિકરી ૧૪ વર્ષ અને ૮ માસની વયની છે. આ દિકરી ૧૦/૩ના રાત્રે નવેક વાગ્યે  પડોશમાં જ રહેતાં કાકી હંસાબેનનના પિત્રાઇ ભાઇ અશોકભાઇ સોલંકીના ઘરે પાણીનો ખાલી હાંડો મુકવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી.

થોડીવાર બાદ તે પાછી ઘરે ન આવતાં રંજનબેન ત્યાં તપાસ કરવા જતાં અશોકના પત્નિ મુકતાબેને કહ્યું  હતું કે તે હાંડો મુકીને તરત જ નીકળી ગઇ છે. એ પછી રંજનબેને પતિ-દિયર સહિતના સ્વજનો સાથે મળી દિકરીની શોધખોળ શરૂ કરી હતી. પણ ભાળ મળી નહોતી. એ પછી એવી ખબર પડી હતી કે અશોક સોલંકીના ઘરે તેના મામાનો દિકરો રામ ઉર્ફ રામદે અવાર-નવાર આવતો જતો હતો એ જ પોતાની દિકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે.

સગીરા ઘરેથી નીકળી ત્યારે દુધીયા રંગની કુરતી અને કળા રંગની લેગીંગ પહેરી હતી. તેણીની ગરદન થોડી ત્રાંસી રહે છે. આ બાળકી વિશે કોઇને માહિતી મળે તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પી.આઇ. પી.એન. વાઘેલા, ભકિતરામભાઇ અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે.

(11:24 am IST)