Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વાણીયાવાડીમાં નિવૃત કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ વિનાયકભાઇ વ્યાસનું ઘરમાં પડી ગયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૧૭: વાણીયાવાડી પાસે વાલકેશ્વર સોસાયટી-૭માં રહેતાં નિવૃત કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ વિનાયકભાઇ લાભશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૭૦) ઘરમાં સાંજે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ એ.વી. પીપરોતરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.     

તુલસીબાગમાં પ્રવિણભાઇ રૂપારેલીયાનું બેભાન હાલતમાં મોત

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે તુલસીબાગ પાસે નિવેદીતા પાર્કમાં રહેતાં પ્રવિણભાઇ નારણદાસ રૂપારેલીયા (લોહાણા) (ઉ.વ.૬૦) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં નાના હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં  ચાર પુત્રી અને એક પુત્ર છે.

સામા કાંઠે બેભાન હાલતમાં શિવનાથનું મોત

ત્રીજા બનાવમાં જુના માર્કેટ યાર્ડ  સંત કબીર રોડ નાલા પાસે કાકડીયા ફાયનાન્સ પાછળ રહેતો શિવનાથ બિરેનભાઇ ચેતરંજ (ઉ.૨૪) નામનો મુળ બંગાળનો યુવાન બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં થોરાળાના મુકેશભાઇ ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ઇમિટેશનની મજૂરી કરતો હતો. માતાનો એકનો એક આધાર હતો.

(1:01 pm IST)