Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં નિર્માણ પામનાર ૧૧૪૪ ફલેટ માટે અ..ધ...ધ.. ૨૦ હજાર ફોર્મ ઉપડ્યા

૧૨૦૦થી વધુ ફોર્મ પરત આવ્યા : ૨૨મી સુધી ફોર્મ મેળવી -પરત કરી શકાશે

રાજકોટ,તા. ૧૮: કોર્પોરેશન દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં પરશુરામ મંદિર પાસે તળાવના કાંઠે લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત નવી ટેકનોલોજી સાથે બની રહેલા  ૨ બીએચકે ફલેટ માટે ગત ૭મી જાન્યુઆરીથી ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આજ સુધીમાં ૨૦ હજારથી પણ વધુ ફોર્મ ઉપડી ગયા છે.જયારે ૧૨૦૦થી વધુ ફોર્મ ભરીને પરત આવ્યા છે.૨૨મી સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે અને પરત સ્વીકારવામાં આવશે.

કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત શહેરના રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં નિર્માણ પામનાર ૧૧૪૪ આવાસોનું ઇ- ખાતમુહૂર્ત ગત ૧લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.ગત ૭મી જાન્યુઆરીથી કોર્પોરેશનના તમામ છ સિવિક સેન્ટર અને આઇસીઆઇસીઆઇ બેન્કની રાજકોટ શહેરમાં આવેલી તમામ શાખાઓ મારફત ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ૧૧૪૪ આવાસ સામે ૨૦,૦૦૦થી પણ વધુ ફોર્મ ઉપડી ગયા છે.જયારે ૧૨૦૦થી વધુ ફોર્મ ભરાઇને પરત આવ્યા છે.

આગામી ૨૨મી જાન્યુઆરી સુધી આ યોજના અંતર્ગત ફોર્મ વિતરણ કરવામાં આવશે અને સ્વીકારવામાં પણ આવશે. નવી ટેકનોલોજી થકી બનનારી આ આવાસ યોજનામાં વાર્ષિક રૂપિયા ત્રણ લાખની આવક ધરાવતા પરિવારને બે રૂમ,હોલ, રસોડું,સંડાસ અને બાથરૂમની સુવિધા ધરાવતું આવાસ માત્ર રૂ. ૩.૪૦ લાખમાં આપવામાં આવશે. જેમાં રસોડામાં પ્લેટફોર્મ નીચે કેબીનેટ તથા બેડ રૂમમાં કબાટ જેવું થોડુંક ફર્નિચર પણ આપવામાં આવશે મહાપાલિકાની આ પ્રથમ અને અંતિમ એવી આવાસ યોજના છે કે જેમાં લાભાર્થીને ફ્લેટ સાથે ફર્નિચરની સુવિધા પણ આપવામાં આવી રહી છે.આવાસ યોજનાના ફોર્મ ભરી પરત કરવાના અંતિમ ચાર દિવસ બાકી રહ્યા હોય હવે લોકોનો ધસારો વધે તેવું લાગે છે.

(4:25 pm IST)