Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મારૂતિનગરના એપાર્ટમેન્ટની અગાશી પરથી પડતુ મૂકી પારૂલબેન જીંજુવાડીયાની આત્મહત્યા

માનસિક બીમારીના લીધે મહિલાએ પગલુ ભર્યું

રાજકોટ, તા.૧૮ શહેરના એરપોર્ટ રોડ પર મારૂતિનગરમાં આવેલા રૂની એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ માનસિક બીમારીના કારણે ચોથા માળે અગાશી પરથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર મારૂતિનગર શેરી નં.૩માં રૂની એપાર્ટમેન્ટના ૧૦૩ નંબરના ફલેટમાં રહેતા પારૂલબેન હિતેષભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૩૬) એ સવારે એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલી અગાશી પરથી પડતું મૂકી દીધું હતું. દેકારો બોલતા આસપાસના લોકો તથા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને મહિલાને તાકીદે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક પારૂલબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ હોટલમાં નોકરી કરે છે. આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા  વૃદ્ધનું મોત

વાણીયાવાડી શેરી નં.૧/પમાં રહેતા જગદીશભાઇ કુભાભાઇ ધ્રાંગીયા (ઉ.વ.૬૦) રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે તેને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જગદીશભાઇને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. હિરેનભાઇએ કાર્યવાહી કરી હતી.

બીમારી સબબ ૧૩ વર્ષની રવિનાનું મોત

રણુજા મંદિર પાસે રણુજા સોસાયટીમાં રહેતી રવિના જોરૂભાઇ હુદડ (ઉ.વ.૧૩) સવારે પોતાના ઘરે હતી ત્યારે બીમારી સબબ એકાએક બેભાન થઇ જતાંં તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે આજીડેમ પોલીસે તપાસ આદરી છે.

(3:41 pm IST)