Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સોમવારે રાજકોટથી ખોડલધામ પદયાત્રાઃ હજારો ભકતો જોડાશે

રવિવારે સવારે સરદાર ભવનમાં મહાઆરતી બાદ પદયાત્રા પ્રસ્થાન થશે : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થઇ રહયા છે, જેની ભકિતમય ઉજવણી થશેઃ ખોડિયાર માતાજીના જયજયકાર સાથે પદયાત્રાનું આયોજનઃ પત્રકાર પરિષદ યોજાઇ

તસ્વીરમાં રાહુલભાઇ ગીણોયા, વત્સલભાઇ પટેલ, વર્ષીલભાઇ ગીણોયા, રિદ્ધિબેન પટેલ, સુમીતાબેન કાપડિયા, મોૈલિક સખિયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૮: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થતા રાજકોટથી ખોડલધામ ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું છે. આગામી રવિવારે યાત્રા પ્રસ્થાન થશે અને સોમવારે ખોડલધામ પહોંચશે.

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જિલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદિરે જાહેર રજાઓ અને તહેવારો નિમિતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાર્થે ઉમટી પડે છે. ફરી લેઉવા પટેલ સમાજનાં આંગણે ૨૧-૧ નો અનેરો અવસર આવી રહયો છે. એ નિમિતે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધવા માટે ખોડલધામ મંદિરનો વિચાર રાજકોટના ઉદ્યોગપતિ અને લેઉવા પટેલ સમાના હૃદયસમ્રાટ નરેશભાઇ પટેલને આવ્યો હતો. આ વિચારની શરૂઆત રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦થી થઇ હતી. ત્યારબાદ મંદિર માટે કાગવડ ખાતે જમીનની પસંદગી કરવામાં આવી હતી અને મંદિરનું બાંધકામ શરૂ થયું જયારે આ બાંધકામ ચાલુ રહ્યું હતું તે દરમ્યાન આ પાવન ધરતી પર મંદિરની શીલાન્યાસ વિધી, શીલાપૂજન, કૃષિમેળો, ખેલ મહોત્સવ, સમુહ લગ્ન અને ત્યારબાદ તા. ૨૧-૧-૨૦૧૭ના રોજ ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ઐતિહાસિક કાર્યક્રમો ઉજવાયા હતા.

લેઉવા પટેલ સમાજની યુવાશકિત માટે પોલીસ (સરકારી નોકરી), પ્રેસ અને પોલિટીકસ(નેતૃત્વ)ના ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરે તેવો આશય છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ચાલતા સરકારી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦નાં રવિવારનાં રોજ વહેલી સવારે ૬.૩૦ વાગ્યે શ્રી સરદાર પટેેલ ભવન, ન્યુ માયાણી નગર, માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ ખાતે માં ખોડલની મહાઆરતી કરીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ગોંડલ ચોકડી થઇ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે જયાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઇ સાંજે ૭ વાગ્યાના સુમારે ગોંડલ પહોંચશે જયાં પદયાત્રિકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રાત્રી વિશ્રામમાં ઠંડીનાં લીધી પદયાત્રિકો માટે ગરમ પાણી સહિતની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે ૧૧ વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે ૪ વાગ્યે પદયાત્રા પહોંચશે જયા પદયાત્રિકો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે ૬ વાગ્યે પહોચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે જય માં ખોડલના નાદ સાથે પદયાત્રિકો યાત્રાને વિરામ આપશે.

ખોડલધામ ટ્રસ્ટની યુવાપાંખ દ્વારા યોજાનાર આ પદયાત્રાને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહયો છે તથા આયોજકો દ્વારા સમાજના લાભાર્થે અનેક પ્રકારના શપથગ્રહણ કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના હજારો યુવાનો તથા મહિલાઓ અને જ્ઞાતિજનો દ્વારા પદયાત્રા દરમ્યાન યુવાશકિતને વ્યસનમાંથી મુકિત અપાવવી, પોતાના માતા-પિતાની સેવા કરવી ઉપરાંત કુટુંબમાં ત્યાગની ભાવના કેળવીને દેશહિતને પ્રથમ ધ્યાને લેવું સહિતના મહત્વના સંકલ્પો લેવામાં આવનાર છે. વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નં. ૭૪૦૫૪ ૬૯૨૩૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:50 pm IST)