Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મીડિયા અહેવાલો બાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજયભાઇને પૂર્વ મુખ્યમંત્રી બનાવાયા

અત્યાર સુધી વિજયભાઇ મુખ્યમંત્રી એવું બોર્ડ હતું

રાજકોટ, તા.૧૭: રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે  વિજય રૂપાણીની તકતી પર મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરાયો હતો. જે બાબતે મીડીયા હોબાળા બાદ તેમની તકતીમાં સુધારો કરવામાં આવ્યો જેમા મુખ્યમંત્રીના બદલે તેમની તકતી પર પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું.

રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિખવાદ સર્જાયો છે. જે વિખવાદ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. ભાજપના કાર્યાલય ખાતે વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી વાળી તખ્તી મુકવામાં આવી હતી. જેને લઈને વીટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો તો તે તકતીમાં બાદમાં બદલાવ કરવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની તકતીમાં આગળ હવે પૂર્વ  લગાવી દેવામાં આવ્યું છે. પહેલા તેમની તકતીમાં આગળ મુખ્યમંત્રી વિજયરૂપાણી લખાયેલું હતું જોકે હવે તેમની તકતી પાસે પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે. મહત્વનું છે કે વીટીવીના અહેવાલ બાદ તકતી પર મુખ્યમંત્રી વિજયરૂપાણીની જગ્યાએ પૂર્વ  મુખ્યમંત્રી વિજય રૂપાણી  લખવામાં આવ્યું છે.

બીજી તરફ રાજકોટમાં હવે દિવસેને દિવસે ભાજપનો આંતરિક વિખવાદ વધી રહ્યો છે. અંદરો અંદર બે જૂથો વચ્ચે વિખવાદ સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. આ આંતરિક જૂથવાદને કારણે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં મળનારૂ સ્નેહ મિલન પણ રદ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.  આગામી ૨૦ નવેમ્બરના રોજ સ્નેહમિલન યોજાવાનું હતું, જેમા જનસંદ્યથી ભાજપ સુદીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હતું. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીની બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો.

(3:56 pm IST)