Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કિસાન ગોશાળા પાસે વાડીમાંથી કમળાપુરની સગીરાને અરવલ્લીનો લાલો ભગાડી ગયો

કોળી પરિવાર ખેત મજૂરીએ રાજકોટ આવ્યો'તોઃ દિકરીના અપહરણથી દોડધામ

રાજકોટ તા. ૧૭: આજીડેમ ચોકડી નજીક કિસાન ગોૈશાળા વાળા રોડ પર શ્રીજી ભરડીયાની બાજુમાં ગિરીશભાઇ પોપટભાઇ બુટાણીની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ જસદણના કમળાપુરના કમલેશભાઇ ગોરધનભાઇ ચાવડા (કોળી) (ઉ.૪૦)ની સગીર વયની ૧૭ વર્ષ અને ૭ માસની દિકરીને અરવલ્લીના માલપુરના આંકલીયા ગામનો લાલો નામનો શખ્સ તા. ૧૩/૧૧ના રોજ ભગાડી જતાં આજીડેમ પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

કમલેશભાઇ ચાવડાએ પોલીસને જણાવ્યા મુજબ તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. પોતે હાલમાં રાજકોટ રહી વાડીમાં કામ કરે છે. ૧૩મીએ સવારે સાડા નવકે વાગ્યે પોતે વતન કમળાપુર ગયા હતાં. વાડીએ પત્નિ, માતા ૧૭ વર્ષની મોટી દિકરી હાજર હતાં. બાદમાં અગિયારેક વાગ્યે આ દિકરી વાડીમાંથી રસોઇ બનાવવાનું કહીને વાડી પાસે જ આવેલા ઘરે જવા નીકળી હતી. પણ બાદમાં તેના માતા અને દાદી જમવા પહોંચ્યા ત્યારે તે જોવા મળી નહોતી. તપાસ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. બાદમાં જાણ થઇ હતી કે શ્રીજી ભરડીયામાં ડમ્પર ડ્રાઇવર તરીકે કામ કરતો અરવલ્લીનો લાલો પણ ગૂમ છે. તેની તપાસ થતાં એ જ સગીર દિકરીને ભગાડી ગયાની ખબર પડી હતી. તેમ કમલેશભાઇએ જણાવતાં પીઆઇ પી. એન. વાઘેલાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:10 pm IST)