Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

હેમ પબ્લીસીટીના જતીનભાઈ ગણાત્રાનું નિધનઃ આવતીકાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ હેમ પબ્લીસીટીના જતીનભાઈ ગણાત્રાનું ટુંકી બીમારી બાદ મોડી રાત્રે નિધન થતાં ઊંડા દુઃખની લાગણી છવાઈ ગઈ છે. જતીનભાઈ તેમનાં તબીબ પુત્ર નિરવ અને પત્ની કાજલબેનને વિલાપ કરતા છોડી ગયા છે.

જતીનભાઈ થોડા દિવસ પહેલા સારવાર માટે શહેરની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદયની બીમારી હતી અને તબીબોએ તેમને સાજા કરવા માટે સતત પ્રયત્નો કર્યા હતા પણ તે કારગત નીવડયા ન હતા અને ગઈ મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ વિધિ આજે વહેલી સવારે પૂર્ણ કરવામાં આવી હતી.

તેમના બધા સાથેનો વ્યવહાર માનવીય હતો અને કોઈ પણ કાર્ય માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેમના નિધનથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે.

તા.૧૨/૨/૬૪ના રોજ જન્મેલા જતીનભાઈ અમૃતલાલ ગણાત્રા પત્ની અને પુત્ર સાથે નિર્મલા રોડ વિસ્તારમાં રહેતા હતા. તેઓ ભારતીય જનતા પક્ષમાં પણ સક્રિય હતા અને વોર્ડ નંબર-૩માં બુથ વાલી તરીકેની જવાબદારી સંભાળતા હતા. પક્ષના મોટા મોટા નેતાઓ સાથે પણ તેમના જીવંત સંપર્ક હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેમને વ્યકિતગત રીતે ઓળખતા હતા. આ અગાઉ ચારૂ પબ્લીસીટીના હરીશભાઈ પારેખનું નિધન થયું હતું.

જતીનભાઈ ગણાત્રા (ઉ.વ.૫૬) (આજકાલ પ્રેસ, હેમ પબ્લીસીટી, ભાજપ વોડનં.૩નાં બુથવાલી) તે કાજલબેનના પતિ તથા સ્વ.અમૃતલાલ શામજીભાઈ ગણાત્રા (બીઓઆઈ, લોહાણા અગ્રણી)ના પુત્ર તથા નૈષધભાઈ (બીઓઆઈ), સ્વ.શૈલેષભાઈ (દેનાબેંક), સુનિલભાઈ (ઈન્સુરેન્સ સર્વેયર), સ્વ.દર્શનભાઈ, ધર્મિષ્ઠાબેન ચંદ્રેશકુમાર ઠકરાર, ચેતનાબેન રોહિતકુમાર કોટેચાનાં ભાઈ તથા ડો.નીરવ ગણાત્રાનાં પિતા તે સ્વ.જગજીવન માવજી કારીયા (મોરબી)ના જમાઈનું આજરોજ ૧૭નાં દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮નાં શુક્રવાર સાંજે ૪ થી ૬નાં રોજ રાખેલ છે.

(1:10 pm IST)