Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રણછોડનગરની નક્ષત્ર સ્કૂલમાં ધો-૮ની છાત્રા ક્રિષ્ના સુરાણીને શિક્ષીકાએ ફડાકા ચોડી દીધા

સ્વાધ્યાય પોથી કેમ અધુરી છે? કહી નિરજૂ મેડમે આકરો સ્વભાવ દેખાડ્યોઃ છાત્રા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે રણછોડનગરમાં આવેલી નક્ષત્ર સ્કૂલમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ચામુંડા સોસાયટીમાં રહેતી ક્રિષ્ના ચંદ્રકાંતભાઇ સુરાણી (વાળંદ) (ઉ.૧૪)ને શનિવારે શાળામાં શિક્ષીકા નીરજૂ મેડમે ફડાકા મારી દેતાં તેણીને આજે પણ દુઃખાવો થતો હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

ક્રિષ્ના ધો-૮માં અભ્યાસ કરે છે. તેના વાલીના કહેવા મુજબ શનિવારે ક્રિષ્ના ગણિત-વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું હોમવર્ક અધુરી રાખીને ગઇ હોઇ શિક્ષીકાએ હોમવર્ક ચેક કરતી વખતે મિજાજ ગુમાવ્યો હતો અને સ્વાધ્યાય પોથી અધુરી કેમ છે? તેમ કહી સાત-આઠ ઝાપટો મારી લીધી હતી. તેમજ પગમાં લાકડીઓ પણ ફટકારી હતી. આ અંગે પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

મારને કારણે છાત્રા ખુબ ગભરાઇ ગઇ હોઇ આજે શાળાએ ગઇ નહોતી અને દુઃખાવાની ફરિયાદ કરતાં તેણીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)