Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

વ્યવસાય વેરો ભરવા ૧૧ હજારને નોટીસોઃ બે હજારે વ્યાજ માફીનો લાભ લીધો

૬ હજારથી વધુ નોંધાયેલ વ્યવસાયિકોને વ્યાજ માફીનો લાભ લેવા ૩૧મી સુધી તકઃ તંત્રએ ૧.૭૪ કરોડનું વ્યાજ માફ કર્યુ

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના હોય વ્યવસાય વેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વ્યવસાય વેરામાં નોંધાયેલ વધુ ૬,૩૮૬ જેટલા બાકીદારોને વ્યવસાય વેરો ભરપાઈ કરવા નોટીસો પાઠવવામાં આવેલ છે. જેમા શોપધારકો, શો રૂમ, કારખાના, કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, બેંકો, શાળા-કોલેજો, હોસ્પીટલો, શરાફી મંડળીઓ, વિવિધ ટ્રસ્ટ, જોબવર્ક કરતી પેઢીઓ, ડોકટર, વકીલ, સી.એ., આર્કિટેકટ વિ. સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાત ન આવ્યેથી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે. કુલ ૧૧,૩૫૬ જેટલા નોંધાયેલા બાકીદારોને નોટીસો મોકલવામાં આવેલ છે.

વ્યવસાય વેરા વ્યાજ માફી યોજનાનો કુલ ૨,૦૫૯ જેટલા વ્યવસાયીકો - ધંધાર્થીઓ દ્વારા લાભ લીધેલ છે. જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાય વેરા પેટે રૂ. ૨.૩૧ કરોડની આવક થયેલ છે તેમજ કુલ રૂ. ૧.૭૪ કરોડનું વ્યાજ માફ કરેલ છે. આ વ્યાજ માફી યોજના તા. ૩૧-૮-૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ યોજના તા. ૩૧-૮-૨૦૧૯ સુધી જ અમલમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ પેઢીઓ, વ્યવસાયીકોને ધંધા - વ્યવસાયના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસનો રૂબરૂ સંપર્ક કરીને અને વ્યવસાય વેરાની આ રાહત યોજનાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે

(3:47 pm IST)