Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નગરજનોને વાવાઝોડા સામે ગભરાહટમાં ન આવવા અને વધુ સતર્ક રહેવા તંત્રની અપીલ

વૃક્ષ નીચે વાહનો ન રાખવા, અગાસીની કિનારી પર રાખવામાં આવેલ કુંડા નીચે ધાબા પર લેવા, કામ વિના ઘર બહાર ન જવું વગેરે આવશ્યક પગલાઓ લેવા રાજકોટ મ્યુ. કોર્પોરેશન તંત્ર વાહકોનો અનુરોધ

રાજકોટ તા. ૧૭ : આગામી સમય દરમ્યાન'તૌકતે' વાવાઝોડાની મહતમ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિમાં શહેરમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેની સાથે શહેરીજનોએ પણ કાળજી રાખવી જરૂરી છે.

મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તૌકતે વાવાઝોડા સામે ગભરાહટમાં ન આવવા અને વધુ સતર્ક રહેવા અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને અન્ય કેટલીક બાબતો અંગે પણ વિશેષ કાળજી લેવા ખાસ અનુરોધ કરાવામાં આવેલ છે જેમાં વૃક્ષની નીચે વાહનો ન રાખવા. અગાસીની કિનારી પર રાખવામાં આવેલ કુંડા વિગેરે નીચેના ભાગે ધાબા પર રાખી દેવા. શકય હોય ત્યાં સુધી અગાસી પર રાખેલા પ્લાસ્ટિક સીટ / પતરા સુવ્યવસ્થિત કરી દેવા, અકસ્માતે પવનથી ઉડતા જાનહાની નિવારી શકાય. ચાલુ વાહન હોય તો ગાડીના કાચ બંધ રાખવા. આવા સમયે બે પૈડાવાળા વાહન લઈને બહાર ન જવા, ઘરનો વીજ પુરવઠો ખોરવાઈ જવાની દહેશત હોય, મીણબત્ત્।ી – ટોર્ચ હાથવગા રાખવા, તંત્ર સામે બિનજરૂરી ફરિયાદ ન કરવી. અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર જવું. રેગ્યુલર દવા લેતા દર્દીઓએ દવા ખૂટે નહી તે માટે આગોતરી જરૂરી દવાઓ ઘરમાં લઇ લેવી. પીવાના પાણીનો પુરવઠો વ્યવસ્થિત કરી લેવો. બિનજરૂરી બહાર ન જવું વિગેરે અંગે સતર્કતા દાખવવી જરૂરી છે. વિશેષમાં અનેક લોકોએ પોતાના મકાનો ઉપર સોલાર પેનલ રાખેલી હોય છે જે ભારે પવનમાં ઉડે નહી તે માટે થોડો સમય ઉતારી લેવી જોઈએ તેમજ અગાસી પર રહેલી પાણીની ટાંકી ભરેલી જ રાખવી જોઈએ. ખાલી ટાંકી ભારે પવનમાં ઉડવાની શકયતા રહે છે.

વાવાઝોડા દરમ્યાન સામાન્ય રીતે ઝાડ પડવા કે ઇલેકિટ્રક લાઈનો અને થાંભલાને નુકસાન થવાની શકયતાઓ હોય છે ત્યારે આ સંભવિત પરિસ્થિતિને નજર સમક્ષ રાખી મહાનગરપાલિકાએ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ અને રોશની વિભાગને સતર્ક કરેલ છે અને આવશ્યકતા અનુસાર પી.જી.વી.સી.એલ. સાથે સંકલનમાં રહીને જરૂરિયાત મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના તમામ ફાયર સ્ટેશન સ્ટેન્ડ ટુ મોડમાં છે.

(10:33 am IST)