Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આસ્થા ચોકડી પાસે આંબેડકરનગરમાં આરતી શાહુની લટકતી લાશ મળીઃ હત્યા કે આપઘાત?

પરપ્રાંતિય મહિલાને પતિએ મારકુટ કર્યાની પડોશીઓમાં ભારે ચર્ચાઃ માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીઃ ચાર સંતાન મા વિહોણા

ઘટના સ્થળ, ઘરમાં લટકતી આરતીની લાશ, તેનો પતિ અખિલેશ શાહુ અને ઘટના સ્થળે એકઠા થયેલા લોકો તથા પોલીસની ગાડી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: આસ્થા ચોકડી નજીક ફોર્ચ્યુન હોટેલ પાસે આવેલા આંબેડકરનગરમાં રામદેવપીર ચોકમાં રહેતી પરપ્રાંતિય પરિણિતાની તેના ઘરમાં લટકતી લાશ મળતાં પોલીસ દોડી ગઇ હતી. પતિએ આ મહિલાની મારકુટ કરી હોવાની અડોશ-પડોશમાં ચર્ચા થઇ રહી હોઇ બનાવ હત્યાનો છે કે આપઘાતનો? તે અંગે તપાસ શરૂ થઇ છે.આસ્થા ચોકડી પાસેના આંબેડકર નગરમાં રહેતી આરતી અખિલેશ શાહુ (ઉ.૨૬)ની લાશ તેના ઘરમાં લટકતી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી ક્રિષ્નાબેન અને પાઇલોટ મહેશભાઇ મારફત પોલીસ કન્ટ્રોલ રૂમને થતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આસપાસના લોકોમાં એવી ચર્ચા થઇ રહી હતી કે આરતીને ગઇકાલે તેના પતિએ મારકુટ કરી હતી. આજે પણ માથાકુટ થઇ હતી. ત્યારે પતિના મારથી ત્રાસીને આરતીએ જાતે જ લટકી જઇ આપઘાત કર્યો કે પછી તેની હત્યા થઇ? આવા સવાલો આસપાસના લોકોમાં ચર્ચાતા હોઇ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પતિ અખિલેશ શાહુ ઘરે જ હાજર મળી આવ્યો હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. તે મજૂરી કરે છે. મૃત્યુ પામનારને ચાર સંતાન છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(3:52 pm IST)