Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કપરો સમય છે, થોડા સમયમાંથી જ બહાર નીકળી જશું : સી.આર. પાટીલ

રાજકોટમાં સરકારના માર્ગદર્શન હેઠળ તંત્રની સરાહનીય કામગીરી, સેવાકીય કાર્યોમાં ભાજપના કાર્યકરો પણ જોડાયા

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલજી જસદણ - વીછીયા ખાતે ૧૦૦ બેડની સુવિધા ધરાવતા કોવિડ કેર સેન્ટરના લોકસેવાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે અગાઉ આજે સવારે રાજકોટ એરપોર્ટ ખાતે થોડી મિનિટો માટે રોકાયા હતા. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે સમગ્ર રાજયમાં ભાજપ સરકારની સાથે રહીને કોરોનાની મહામારીમાં લોકોને મદદરૂપ બનવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે અને એટલા માટે અલગ અલગ જગ્યાએ આઈસોલેટ સેન્ટરની વ્યવસ્થા સહિતના કાર્યોમાં કાર્યકરો જોડાયા છે.

જસદણના કાર્યકરોને અભિનંદન આપુ છું કે તેઓએ મુશ્કેલીના સમયમાં નવી હોસ્પિટલ શરૂ કરી છે. સુરતમાં પણ આશરે ૧૫૦૦ બેડની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે ઉભી કરવામાં આવી છે. સરકારની વ્યવસ્થામાં કાર્યકરો પુરક બનીને સેવાકાર્યોમાં લાગી ગયા છે. આ કપરો સમય છે. થોડા સમયમાં જ તેમાંથી બહાર નીકળી જઈશું.

રાજકોટની પરિસ્થિતિ અંગેના એક પ્રશ્નમાં શ્રી સી.આર. પાટીલે જણાવ્યુ હતું કે મને રાજકોટની પરિસ્થિતિ અંગે ખ્યાલ નથી પરંતુ અચાનક આ આવેલી કોરોનાની બીજી લહેરમાં સરકારના માર્ગદર્શન હેઠળ તંત્રની કામગીરી સરાહનીય છે. છેલ્લા કેટલાક સમયથી એક પણ રેલી થઈ નથી. યુવા કાર્યકરોએ બાઈકરેલી કાઢી હતી તે કાર્યકરોને પણ આવુ નહિં કરવા સુચનાઓ આપી દેવામાં આવી છે. જો કે તેની સંખ્યા પણ મર્યાદીત હતી.

શ્રી સી.આર. પાટીલજીના સ્વાગત પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મેયર પ્રદિપભાઈ ડવ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ભાનુબેન બારીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને ભરતભાઇ બોઘરા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:47 pm IST)