Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માંગે છે તે જાણી શકાયઃ નાની ઉંમરે નક્કી કરાયેલ ફિલ્ડ તમને વિશેષ પ્રોગ્રેસ આપે છેઃ મુમુક્ષુ સૌરવ શાહ 'અકિલા'ના આંગણે

રાજકોટ : માત્ર ૧૬ વર્ષની વયે તા.૨૫ના રોજ દિક્ષા અંગીકાર કરવા જઈ રહેલ મુમુક્ષુ સૌરવ શાહે અકિલાના આંગણે પાવન  પગલા કર્યા હતા. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મુમુક્ષુ સૌરવભાઈ શાહ તેમના પિતાશ્રી નિલેશભાઈ, માતા જલ્પાબેન તથા મોટાભાઈ મોનીલ શાહે દીક્ષા અંગે મુકતમને ભાવ પ્રગટ કર્યા હતા. આજે બપોરે ''અકિલા'' ફેસબુક લાઈવ પ્રસારણમાં માત્ર ૧૬ વર્ષના પરમ ધાર્મિક પૂ. શ્રી મુમુક્ષુ સૌરવભાઈએ જણાવેલ કે અંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માગે છે તે જાણી શકાય છે. બાકી સામાન્ય રીતે આપણે ભગવાનની સેવા પૂજા અને દર્શનને જ ધર્મ કહીએ છીએ. પણ હકીકતે ધર્મ સમજવા અંદરનો ઉંડો અભ્યાસ જરૂરી છે. તેમણે વધુમાં જણાવેલ કે નાની ઉંમરે તમે જે ફિલ્ડ નક્કી કરો તો તેમાં ભવિષ્યમાં તમને ખૂબ જ સારો પ્રોગ્રેસ મળે છે. તેમના પિતાશ્રી નિલેશભાઈએ પણ જણાવ્યુ કે જયારે અમને પહેલી વાર ખબર પડી હતી ત્યારે મને થયુ કે સૌરવ સંયમના માર્ગે ચાલી શકશે? તેને સમજાવવાની કોશિષ દરમિયાન મને સમજાયુ કે મારો પુત્ર તો મારા કરતા પણ વધુ સમજદાર છે. ત્યારે સહર્ષ તેના નિર્ણયને સ્વીકારી દીક્ષાની અનુમતિ આપી હતી. જયારે મુમુક્ષુ શ્રી સૌરવ શાહના મોટાભાઈ મોનીલે જણાવેલ કે એકનો એક ભાઈ દીક્ષા લેવાનો હોય ત્યારે મેં તેને પૂછ્યુ કે તું આ કરી શકીશ? પણ તેનું ડીટરમીનેશન જોઈને ખૂબ જ સંતોષ થયો હતો. જયારે તેમના માતા જલ્પાબેને જણાવેલ કે પૂર્વ જન્મનું તેનું કોઈ તપ અધુરૂ રહ્યુ હોય અને તે પૂરૂ કરવા જ અમારા કુટુંબમાં જન્મ લીધો હોય તેવુ લાગે છે. તેના જન્મ પછી જ અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ પ્રબળ બન્યુ હતું. સામાન્ય બાળકની ઈચ્છા જેવી રીતે માતા-પિતા પૂરી કરે છે તેવી જ રીતે હું પણ મારા દિકરાની દીક્ષાની ઈચ્છા હર્ષભેર પૂરી કરી રહી છું. આ ઉપરાંત પણ આખા શાહ પરીવારે જૈન ધર્મ અને તેના અલગ અલગ સિદ્ધાંતો વિશે ચર્ચા કરી હતી. પ્રથમ તસ્વીરમાં શ્રી કિરીટભાઈ ગણાત્રાના આર્શીવાદ મેળવતા મુમુક્ષુ શ્રી સૌરવ શાહ દર્શાય છે. બીજી તસ્વીરમાં 'અકિલા' પરીવાર વતી શ્રી કિરીટભાઈએ પળો અને શ્રીફળ આપી તેમની સંયમયાત્રાની અનુમોદના કરી વંદન કર્યા હતા. વચ્ચેની તસ્વીરમાં શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શાહ પરીવાર જયારે અંતિમ તસ્વીરમાં શ્રી કિરીટભાઈ સાથે ચર્ચા કરતો શાહ પરીવાર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૪)

(4:21 pm IST)