રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાનાં વકીલ આલમમાં મોખરાનું સ્થાન ધરાવતા પીઢ ધારાશાસ્ત્રી મોહનભાઇ ચત્રભુજભાઇ સાયાણીનું જૈફવયે ટુંકી બીમારીથી અવસાન થતાં વકીલ આલમમાં શોક છવાયો છે. વર્ષો સુધી જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મોહનભાઇએ જીવનના અંતિમ શ્વાસ સુધી વકીલાત કરી હતી.
મુંબઇ બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે જામનગરમાં નોંધયેલા ટાડા કેસ (આ કેસ હજી ચાલુ છે), ચકચારી ખૂન કેસ અને કસ્ટોડિયલ ડેથમાં મોહનભાઇ સાયાણીએ સરકાર તરફે સ્પેશિયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે કાનુની લડત આપી છે. રાજકોટના પિયુષ ઠકકરના ખંડણી માટે અપહરણ કરી હત્યા કરવાના કેસમાં તેમજ બિલ્ડર, ઉદ્યોગપતિ ડાયાભાઇ કોટેચાના ખૂનકેસમાં સ્પે પબ્લીક પ્રોસીયુટર તરીકે જબરી કાનુની લડત આપી અપરાધીને સજા કરાવી હતી. રાજમોતી ઓઇલ મિલના અમદાવાદ સ્થિત મેનેજરની હત્યાના કેસમાં પણ તેઓ સ્પે. પી.પી. તરીકે હતા. પ૩ વર્ષ સુધી વકીલાત કરનાર મોહનભાઇને હોસ્પિટલમાં દાખલ કરાયા તેના આગલા દિવસે પણ એક ખુન કેસમાં આરોપીને સજા કરાવી હતી.
જુનિયર વકીલોના આદર્શ મોહનભાઇ સાયાણીએ જુનિયર વકીલોની દરેક મુશ્કેલીમાં હરહંમેશ સાથે રહી શકય તેટલી મદદ, માર્ગદર્શન પુરૂ પાડયું હતું. એમ.પી. લો કોલેજમાં પણ પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે સેવા આપી સેંકડો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમને સંતાનમાંં ત્રણ પુત્ર મુકેશભાઇ, પરેશભાઇ અને સ્વ. કિશોરભાઇ, એક પુત્રી પારૂલબેન ભીમજીયાણી પૈકી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન તરીકે ફરજ બજાવતા પુત્ર ડો. કિશોરભાઇનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. એક પુત્ર જજ છે, અન્ય એક પુત્ર અમેરિકા સ્થાયી થયા છે. અમેરિકાસ્થિત પુત્ર રાજકોટ આવી જતા આજે સોમવારે સવારે સદ્દગતની અંતિમયાત્રા નિકળી હતી. વિદ્વવાન પીઢ ધારાશાસ્ત્રીના નિધનથી સિનિયર, જુનિયર વકીલોમાં શોક છવાઇ ગયો છે.
ધારાશાસ્ત્રી મોહનભાઇ સાયાણીની સ્મશાન યાત્રા આજે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી મોટામવા સ્મશાન ખાતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સીનીયર -જુનીયર વકીલો, સગા સ્નેહીઓ, બેંક ઓફીસરો વિમા કંપનીના અધિકારી અને, રાજકીય અગ્રણીઓ તેમજ બાર એસો.ના હોદેદારો-કારોબારી સભ્યો સહિતના લોકો જોડાયા હતા.
આજે સ્વ. મોહનભાઇ સાયાણીની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન સાનિધ્ય બંગલો, એરપોર્ટ નજીકથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.
આ સ્મશાન યાત્રામાં લો-કમિશનના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, સીનીયર ધારાશાત્રી પ્રવિણભાઇ કોટેચા, હિંમતભાઇ સાયાણી, હેમેનભાઇ ઉદાણી, મહર્ષિભાઇ પંડયા, બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, વિશાલ સોલંકી, રાજકોટ બાર એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, તથા સંજયભાઇ વ્યાસ, મનીષભાઇ ખખ્ખર, શાંતનું સોનપાલ, શ્યામલ સોનપાલ સહિતના વકીલો તેમજ રઘુવંશી અગ્રણી હિતેષભાઇ બગડાઇ, બિલ્ડર, કિશોરભાઇ કોટેચા, રઘુવંશી સેનાના યોગેશભાઇ પુજારા, વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
ધારાશાસ્ત્રી મોહનભાઇ સાયાણીની જાગનાથ મંદિરે ગુરૂવારે પ્રાર્થના સભા
રાજકોટઃ રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી મોહનભાઇ સાયાણી કે જેઓ ભગવાનજીભાઇ તથા હિંમતભાઇ, શારદાબેન જે. કારીયા, હંસાબેન સી. ભુપતાણીના મોટાભાઇ તથા સ્વ. કિશોરભાઇ તથા મુકેશભાઇ, પરેશભાઇ તથા પારૂલબેન ભીમજીયાણીના પિતાશ્રીનું તા.૧પ/-૪/ર૦૧૮ ના રોજ સવારે પ વાગ્યે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી મોહનભાઇ સાયાણીની અંતિમ વિધિ મોટામવા સ્મશાનગૃહ ખાતે તા.૧૬ના રોજ સોમવારે સવારે ૧૧ કલાકે રાખેલ હતી. સ્વ.નું બેસણું-પ્રાર્થનાસભા તા.૧૯ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.