Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઠેબચડા ગામે જમીન વિવાદમાં થયેલ આધેડ શખ્સની હત્યાના ગુનામાં આરોપીના આગોતરા જામીન નામંજુર

રાજકોટ તા. ૧૭: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં કોળી જુથ દ્વારા ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રોઢની હત્યાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી  આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તા. ૩૦ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા પ્રોૈઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.  જ્યારે અન્ય બે  ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના  સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી મગન બીજલ રાઠોડ, મહેન મગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઇ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઇ રાઠોડ, કાન્તાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ , ખીમજી નાથાભાઇ , ભુપત નાથાભાઇ, રોનક નાથાભાઇ, પોપટ વશરામભાઇ, કેશુબેન વશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, સામજી બચુભાઇ, અક્ષીતભાઇ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહી જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતા નહી સમજતા વાતાવરણમાં તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. આ બનાવની ઉચ્ચકક્ષાએ  તેના પડઘા પડેલ અને પોલીસ અધિકારી વિરુધ્ધ ઈન્કવાયરી કરવામાં આવતા જેમા જવાબદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી કહેવાતા એડવોકેટ અક્ષીત કદમકાંત છાંયા નામના શખ્સે રાજકોટ સેશ. કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ કમલેશભાઇ ડોડીયા અને મુળ ફરીયાદીના  એડવોકેટ રૂપરાજસિંહ પરમારની  દલીલ તેમજ લેખિત અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જેમાં જો અક્ષીત છાંયાને આગોતરા જામીન મંજુર કરવામાં આવશે તો  પુરાવાનો નાશ અને સાક્ષીઓને છોડવામાં આવશે. અને અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે તમામ દલીલથી સહમત થઇ અધિક સેશ. વી.વી. પરમાર અક્ષીત છાંયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ  કામમાં સરકાર પક્ષે એપીપી કમલેશભાઇ ડોડીયા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા અને ભરત સોમાણી રોકાયા છે.

(3:36 pm IST)