Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ-લોધિકા સંઘમાં ઢાંકેચા-સરધારા યથાવતઃ ખેંચતાણ ખતમઃ કાલે ચૂંટણી

રાજકોટ તા.૧૭ : સહકારી ક્ષેત્રની અગ્રીમ સંસ્થા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આવતીકાલે તા.૧૮મીએ સાંજે ૪ વાગ્યે પ્રાંત અધિકારી શ્રી પટેલની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં ભાજપના આંતરિક કથિત વિવાદનો અંત આવતા ચેરમેન પદે નીતિન ઢાંકેચા અને વાઇસ ચેરમેન તરીકે મનસુખ સરધારા યથાવત જ રહેનાર હોવાનું જાણવા મળે છે. આવતા અઢી વર્ષ માટે કાલે ચૂંટણી થશે.ચેરમેનશ્રી ઢાંકેચાના સ્થાનમાં કોઇ ફેરફાર જણાતો ન હતો પરંતુ વાઇસ ચેરમેન બદલવા ભાજપના જ એક જુથે પ્રયાસો શરૂ કરેલ. સરધારા જુથે તોતીંગ બહુમતીનો દાવો કરેલ. બળાબળના ખૂલ્લા પારખા સહકારી ક્ષેત્રે ઇચ્છનીય ન હોવાનુ અમુક અગ્રણીઓએ સમજાવતા બંને જુથ સમાધાન માટે સહમત થયા હતા. ચેરમેન ઢાંકેચા અને વાઇસ ચેરમેન પદે સરધારા યથાવત રહેશે પરંતુ ભવિષ્યમાં તાલુકાના સહકારી ક્ષેત્રમાં સૌને સાથે લઇને ચાલવાનુ રહેશે તેવી સરળ શરતે સમાધાનની ભૂમિકા બંધાયેલ છે. હવે આવતીકાલની ચૂંટણી ઔપચારિક જ બની રહે તેવા એંધાણ છે.

(3:34 pm IST)