Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ને ફૂડ પોઇઝન : લીલાવતી હોસ્પિટલમાં સારવાર લીધી : પરમધામ ખાતે આરામમાં : સ્વાસ્થ્યમાં સુધાર

ભાવિકો દ્વારા પૂ. ગુરૂદેવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના : દર્શન માટે ન આવવા પરમધામની સર્વેને વિનંતી

રાજકોટ તા.૧૬ : રાષ્ટ્રસંત ગુરૂદેવ પરમ પૂજય શ્રી નમ્રમુનિ મ. સા.ની તબિયત નાદુરસ્ત થતા તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોમવારે રાતે લગભગ ૧૦ વાગ્યા થી ૩ વાગ્યા સુધી સખત પેટમાં દુખાવો, ઉલ્ટી અને અપચાના કારણે પૂ. ગુરૂદેવને મંગળવારે વહેલી સવારે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં નિદાન કરાતા કરતા ફૂડ પોઇઝનનું કારણ જણાયું હતું. લીલાવતી હોસ્પિટલમાં ડો. નરેન્દ્ર નિકમ (જનરલ સર્જન)ની દેખરેખ હેઠળ પરમ ગુરૂદેવને સારવાર આપવામાં આવી હતી.

મંગળવારે અલગ અલગ ટેસ્ટ કરીને ઓબ્ઝર્વેશન રાખી પરમ ગુરૂદેવના સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં ગઈકાલે બુધવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપતા તેઓ પરમધામ પધારી ગયેલ. હાલ ડોકટરની સલાહ મુજબ આરામમાં રહેશે. ૨-૩ દિવસ આરામની જરૂર હોવાના કારણે દર્શન માટે ભાવિકોને ન આવવા પરમધામ દ્વારા વિનંતી કરાઈ છે.

ગુરૂદેવની લીલાવતી હોસ્પિટલમાં થઈ રહેલી સારવાર દરમિયાન સેવાભાવી રેખાબેન શેઠ(લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટી), મૂલરાજભાઈ છેડા, સુભાષભાઈ ભાયાણી આદિ ભાવિકો દ્વારા ખડેપગે રહીને કરવામાં આવેલી સેવા અનુમોદનીય રહી હતી. પરમ ગુરૂદેવનું આરોગ્ય ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભાવિકો દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

(10:36 am IST)