Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં વેલનાથપરાની ૧૭ વર્ષની રિધ્ધીકાએ એસિડ પી જિંદગી ટૂકાવી લીધી

બે ભાઇની એકની એક બહેન હતીઃ લાડકવાયી દિકરીના મોતથી કોળી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રણુજા મંદિર પાસે વેલનાથપરા-૨માં રહેતી રિધ્ધીકા અજયભાઇ ધોળકીયા (ઉ.વ.૧૭) નામની કોળી સગીરાએ એસિડ પી આપઘાત કરી લેતાં કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. માતા-પિતા વચ્ચે ઝઘડો થતો હોઇ તે જોઇ ન શકતાં તેણીએ આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું છે.

રિધ્ધીકાએ રવિવારે સવારે સાડા નવેક વાગ્યે એસિડ પી લેતાં સારવાર માટે જે. કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે તેણીનું મોત નિપજતાં હોસ્પિટલના રૂપેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇઆર. બી. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રિધ્ધીકા બે ભાઇની એકની એક બહેન અને પરિવારની લાડકી દિકરી હતી. તેના પિતા અજયભાઇ ધીરૂભાઇ ધોળકીયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ કહ્યું હતું કે અજયભાઇ અને તેના પત્નિ મુકતાબેન વચ્ચે નજીવી વાતે ચડભડ થતી હોઇ તે કારણે દિકરી રિધ્ધીકાને માઠુ લાગી જતાં તે એસિડ પી ગઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

ઘરમાં કલેશ થતાં શાહબાઝખાને માંકડ મારવાની દવા પીધી

જામનગર રોડ સ્લમ કવાર્ટરમાં રહેતાં અને મેડિકલ સ્ટોરમાં કામ કરતાં શાહબાઝખાન દિલાવરખાન પઠાણ (ઉ.૨૧)એ ઘરમાં કલેશ થતાં માંકડ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

(11:35 am IST)