Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આંબેડકરનગરમાં એકલવાયુ જીવન જીવતાં ખુશાલભાઇ મકવાણાનો ફાંસો ખાઇ આપઘાત

બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું તારણઃ પડોશી જોવા જતાં લટકતા મળ્યા

રાજકોટ તા. ૧૬: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગર-૧૩માં ધારા ગેઇટ સામે રહેતાં ખુશાલભાઇ ગણેશભાઇ મકવાણા (ઉ.વ.૫૧) નામના પ્રોૈઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ખુશાલભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં અને પ્લમ્બીંગ કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. વર્ષોથી તેઓ એકલા જ રહેતાં હતાં. તેમના બીજા ભાઇઓ ચામુંડા સોસાયટીમાં રહે છે. કેટલાક દિવસથી ખુશાલભાઇ બિમાર હોઇ હલન ચલન કરી શકતાં ન હોઇ પરિવારજનો ખબર પુછી જતાં હતાં. ગઇકાલે તેઓ ઘર બહાર નીકળ્યા ન હોઇ પડોશી તપાસ કરવા જતાં લટકતાં મળતાં દેકારો મચી ગયો હતો.

લોકોએ તેમને નીચે ઉતાર્યા હતાં અને તેમના ભાઇને જાણ કરી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એકલવાયુ જીવન જીવતાં ખુશાલભાઇએ બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. હેડકોન્સ. જયેશભાઇ ચોહલા વધુ તપાસ કરે છે.

(2:38 pm IST)