Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઇન્દ્રનિલ સહિત જુના જોગીઓને સક્રિય કરોઃ કોંગી કોર્પોરેટરો ગાંધીનગર દોડયા

કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને શાસનની તક દેખાઇઃ શહેર કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા તૈયારીઓ : અમિત ચાવડા-અર્જુન મોઢવાડિયા-શકિતસિંહ ગોહિલને વિપક્ષી નેતા વશરામભાઇની આગેવાનીમાં વિસ્તૃત રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. શહેર કોંગ્રેસની વર્તમાન સ્થીતીને વધુ મજબુત બનાવી અને આગામી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતીથી વિજયી બનાવવાના ઇરાદા સાથે કોંગ્રેસનાં ૧પ જેટલા કોર્પોરેટરોએ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાની તળે આજે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને પ્રદેશ અગ્રણીઓ ત્થા પ્રદેશ પ્રમુખને વિસ્તૃત પત્ર પાઠવી અને પૂર્વ શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતનાં જે જૂના જોગીઓ પક્ષમાં નિષ્ક્રીય છે તેઓને ફરીથી સક્રિય કરવા રજૂઆત કરી હતી. અને સહી ઝૂંબેશ સાથેનો પત્ર રૂબરૂ પાઠવ્યો હતો.

આ અંગે વિપક્ષી નેતા શ્રી સાગઠીયાએ જણાવ્યું હતું કે આગામી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને શાસન માટે ભરપુર તક છે. શાસક પક્ષ ભાજપ વિરૂધ્ધ શહેરીજનોમાં હાલમાં ભરપુર રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ઇન્દ્રનીલ રાજયગુરૂ જેવા જૂના અને પીઢ આગેવાનોની સેવા લઇને શહેર કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવાની જરૂરત છે.

જેથી આગામી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના વિજય માટે ભરપુર તક ઉભી થાય અને સંગઠનનો વ્યાપ વધારી કોંગ્રેસને મજબુત બનાવી શકાય આમા શ્રી રાજયગુરૂ સહિતનાં જુના જોગીઓને ફરી પક્ષમં સક્રિય કરવાની લાગણી અને માગણી કોંગ્રેસનાં ૧પ કોર્પોરેટરોએ પ્રદેશ અગ્રણીઓ શકિતસિંહ ગોહીલ, અર્જુનભાઇ મોઢવાડીયા, અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવી રૂબરૂ રજૂઆતો કરી હતી.

કોંગી કોર્પોરેટરોની સહી ઝૂંબેશ સાથે પ્રદેશ પ્રમુખને પાઠવેલા આ પત્રમાં જણાવાયુ છે કે આગામી સમયમાં તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ શહેરમાં મજબુત વફાદાર અને બાહોશ કે જે કાયમ ભાજપ સામે લડે છે તેવા મજબુત ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરીથી પક્ષમાં સક્રિય કરવા તેવી અમારા બધાની જ લાગણી છે.

કારણ કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે મુખ્યમંત્રીનું હોમ ટાઉન છે તેથી ભાજપથી ડર્યા વગર ભાજપ સામે લડી કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની જરૂર છે તેવા સમયે ઇન્દ્રનીલ રાજયગુરૂની કોંગ્રેસ પક્ષને ખાસ કરીને રાજકોટને જરૂર છે તેઓએ પક્ષમાંથી રાજીનામુ આપ્યા પછી પણ કોંગ્રેસને નુકશાન થાય તેવું એક પણ પગલુ ભર્યુ નથી તેથી આ લાગણીને માન આપશો. આ ઉપરાંત રાજકોટમાં જેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા હોય અને પક્ષને વફાદાર હોય તેવા લોકોને પણ સક્રિય રાજકારણમાં રહે અને પક્ષને મજબુત બનાવવા માં મદદ કરે તેવી વાત પણ કરવી જોઇએ.

ઇન્દ્રનીલ રાજયગુરૂ માટે સહી ઝૂંબેશ-રજૂઆત કરનારા કોંગી કોર્પોરેટરોની નામાવલી

કોર્પોરેટર શ્રી સ્નેહા બીપીન દવે વોર્ડ નં. ૧૬, અતુલભાઇ રાજાણી વોર્ડ નં. ૩, વશરામભાઇ સાગઠીયા વોર્ડ નં. ૧પ, માસુબેન રામભાઇ હેરભા વોર્ડ નં. ૧પ,  રસીલા સુરેશભાઇ ગરૈયા વોર્ડ નં. ૧૬, દિલીપ સી. આસવાણી વોર્ડ નં. ૩, હારૂન ડાકોરા વોર્ડ નં. ૧૬, ગાયત્રીબેન ભટ્ટ વોર્ડ નં. ૧૭, જયાબેન જે. ટાંક વોર્ડ નં. ૧૭, રવજીભાઇ સી. ખીમસુરીયા વોર્ડ નં. ૧૩, ઘનશ્યામસિંહ જાડેજા વોર્ડ નં. ૧૭, ગીતાબેન પુરબીયા વોર્ડ નં. ૩, મકબુલભાઇ દાઉદાણી વોર્ડ નં. ૧પ, સિમ્મી જાદવ વોર્ડ નં. ૪, ધર્મીષ્ઠાબા જાડેજા વોર્ડ નં. ૯, આ ઉપરાંત રાજકોટ શહેર આગેવાનો યુનુસ જુણેજા, ઇન્દુભા રાખોલ, ગૌરવ પુજારા, વોર્ડ પ્રમુખ ૩, મિતુલ દોંગા કાર્યકર કોંગ્રેસ વગેરે આ ઝૂંબેશમાં જોડાયા હતાં તેમ વિપક્ષી નેતા શ્રી સાગઠીયાએ જાહેર કર્યુ હતું.

અશોક ડાંગર વિરૂધ્ધ સહી ઝૂંબેશની ચર્ચા આ માત્ર અફવા છેઃ બધા કોર્પોરેટરો પ્રમુખ સાથે છેઃ સાગઠિયા

રાજકોટ : ઇન્દ્રનીલ રાજયગુરૂને પક્ષમાં સક્રિય કરવા માટે કોંગી કોર્પોરેટરોએ સહિ ઝૂંબેશથી ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સમક્ષ રૂબરૂ રજૂઆતનાં પગલે શહેર કોંગ્રેસનાં એક જૂથમાં એવી ચર્ચા જાગી છે કે, આ ઝૂંબેશ અશોકભાઇ ડાંગરનાં પ્રમુખપદની વિરૂધ્ધમાં થઇ રહી છે. જો કે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ આ બાબતને રદિયો આપતાં જણાવેલ કે આ માત્ર અફવા છે. બધા કોપોરેટર પ્રમુખ અશોક ડાંગર સાથે જ છે. રજૂઆત ફકત ઇન્દ્રનીલભાઇને સક્રિય કરવાની જ છે.

(4:05 pm IST)