રાજકોટઃ કડવા પાટીદાર સમાજને સંગઠિત કરી સંગઠનના માધ્યમથી સમાજ વિકાસની કેડી કંડારનાર આ દુરંદેશી સમાજશ્રેષ્ટી પોપટભાઇ નરશીભાઇ કણસાગરાનું ૯૦ વર્ષની વયે દેહવિલય થતાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી શ્રધ્ધાજંલી સભામાં સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોપટબાપાની સમાજ નિષ્ઠાને બિરદાવી હતી. કડવા પાટીદાર સમાજ આજે અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બન્યો તેટલી પ્રગતિ કરી શકયો તેના પાયામાં પોપટબાપા અને તેના જેવા સમાજશ્રેષ્ઠીઓ નું યોગદાન રહ્યૉનું આ અગ્રણીઓએ જણાવ્યું હતું.
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ, શ્રી પટેલ પ્રગતિ મંડળ -રાજકોટ તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ(ઉમિયા ધામ) દ્વારા આયોજીત આ શ્રધ્ધાંજલી સભામાં બોલતા ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્યશ્રી બાબુભાઇ જમનાદાસ પટેલે પોપટબાપાને શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું કે શ્રધ્ધા અને શ્રમથી પોપટબાપાએ સમાજના વિકાસનું પોષણ કર્યુ છે. તેની સમાજનિષ્ઠા આપણા સૌને માટે ભાવિ વિકાસની કેડી બની રહેશે.ઊંઝા ઉમિયા મંદિર સંસ્થાના પૂર્વ પ્રમુખ અને ૯૫ વર્ષની વયે પણ આ સમાજકાર્ય માટે પ્રવૃત શ્રી મણીભાઇ પટેલ(મમ્મી) એ જણાવ્યું હતું કે પોપટભાઇ જેવા દુરંદેશી અગ્રેસરની સાથે કામ કરવાની તક મળી છે, સમાજ ઉત્કર્ષની તેમની ભાવના અને તે માટે તન-મન-ધનથી સમર્પણ માટે ની સંકલ્પબધ્ધતા આપણા સૌ માટે પ્રેરણા બની રહેશે.
ઊંઝા ઉમિયા મંદિર સંસ્થાના મંત્રીશ્રી દિલીપભાઇ પટેલે જણાવ્યું છે કે, આજના સમાજના કર્ણધારો માટે પૂજય પોપટબાપાનું જીવન દીવાદાંડી બની રહેશે. સમાજને કઇ રીતે આગળ લાવી શકાય તેનો ધોરી માર્ગ પોપટબાપાએ આપી દીધો છે.
રાજકોટ કિડની હોસ્પિટલના અધ્યક્ષ શ્રી જયંતીભાઇ ફળદુએ પોપટબાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું હતુ કે, સમાજ કાર્યમાં અડચણો તો આવે પણ તેને પાર કરી કઇ રીતે આગળ વધી શકાય તેનો માર્ગ, પોપટબાપાએ પોતાના જીવન કાર્ય દ્વારા દર્શાવી આપ્યો છે.
સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઇ ચાંગેલાએ પૂજય પોપટબાપાને ભાવપૂર્ણ શ્વરે અંજલિ આપતા કહ્યું હતું કે, પોપટબાપાએ સમાજ વિકાસનો રસ્તો કંડારી આપ્યો એટલું જ નહીં સમાજની નવી યુવાપેઢી પણ આ માર્ગે આગળ વધે તે માટે એક યુવા પેઢી પણ તૈયાર કરી આપી. તેમણે કહ્યું હતું કે, કુળદેવી મા ઉમિયાના મંદિરો શ્રધ્ધા કેન્દ્ર છે તેને વિકાસ સાથે જોડી સમાજ વિકાસની ગતિ પૂ. પોપટબાપાએ તેજ બનાવી હતી.
શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી મગનભાઇ ઘીંગાણીએ કહ્યું હતું કે, પ્રશ્નો સમજવા અને તેનો ઉકેલ લાવવાની પોપટબાપાની દૃષ્ટી આજના સમાજના અનેક પ્રશ્નો ઉકેલી શકે તેમ છે. તેમના ઉદ્બોધેલ માર્ગે ચાલીએ તેજ પૂ. પોપટબાપાને સાચી શ્રધ્ધાંજલી બની રહેશે. આ પ્રસંગે ફિલ્ડમાર્શલ પરિવારના શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ તેમજ પોપટભાઇ પટેલના પુત્રો ચંદ્રકાંતભાઇ પટેલ, નીતિનભાઇ પટેલ, દિપકભાઇ પટેલ તથા પૌત્ર રીશી પટેલ સહિત પરિવાર જનો હાજર રહેલા હતા.
આ પ્રસંગે શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટીશ્રીઓ સર્વશ્રી નંદલાલભાઇ માંડવીયા, નરોત્તમભાઇ કણસાગરા, મગનભાઇ ધીંગાણી, જમનભાઇ ભાલાણી, પ્રભુદાસભાઇ કણસાગરા, વિઠ્ઠલભાઇ ઝાલાવાડિયા, જેન્તીભાઇ કાલાવડીયા, અશોકભાઇ કાલાવડીયા, ધીરજલાલ વડાલીયા, હરિભાઇ કણસાગરા, અમુભાઇ ડઢાણીયા, મનસુખભાઇ પાણ, શિવલાલભાઇ ધોડાસરા, સંજયભાઇ ગોવાણી, તથા મનસુખભાઇ જાગાણી વિગેરે ટ્રસ્ટી તથા કારોબારી સભ્યો શ્રધ્ધાંજલી સભામાં હાજર રહી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.
કાર્યક્રમનું સંચાલન પ્રો.જે.એમ. પનારાએ કર્યુ હતું. કાર્યક્રમના અંતે સદ્ગતના આત્માની શાંતિ અર્થે મૌન પડાયું હતું અને શ્રી સંજયભાઇ કનેરિયાએ શાંતિ પાઠ કર્યો હતો. અને કાર્યક્રમ વ્યવસ્થા યુવા સંગઠન ટીમ અને મહિલા સંગઠન ટીમે સંભાળી હતી. તેમ શ્રી પટેલ સેવા સમાજ -રાજકોટના મંત્રી શ્રી કિશોરભાઇ ધોડાસરાના(મો.૯૪૦૮૧૭૫૧૧૧)ની યાદીમાં જણાવાયું છે.