Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મને જે આવડે છે તે જ પરિક્ષામાં આવવાનું છે, પરિક્ષામાં જે આવશે તે મને આવડવાનું જ છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ઉપક્રમે શિક્ષકો માટે પૂ. નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં માર્ગદર્શક શિબિર યોજાઇ

રાજકોટઃતા.૧૬,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલી શિક્ષકો માટેની માર્ગદર્શક શિબિરમાં ભાવિના હજારો શિક્ષકો એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એડ.ડીગ્રી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.

  રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમા ચાતુર્માસ બિરાજીત ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમજ અનેક સાધ્વીરત્નાઓના સાંનિધ્યે આયોજિત આ શિબિરમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ એક સકસેસફુલ ટીચર બનવાના માસ્ટર પોઈન્ટસ આપતાં સમજાવ્યું હતું કે, એક ટીચર એ હોય છે જે વિદ્યાર્થીઓનાં હૃદયમાં માત્ર આભાર ભાવનું સર્જન કરતાં હોય છે પરંતું જે ટીચર વિદ્યાર્થીઓના હૃદયમાં સદાને માટે પોતાના પ્રતિ ઉપકાર ભાવનું સર્જન કરે છે તે ટીચર શ્રેષ્ઠ સાબિત થતાં હોય છે. એક પથ્થરમાંથી પગથિયાં પણ બની શકતાં હોય છે અને પ્રતિમાનું સર્જન પણ થઈ શકતું હોય છે. પગથિયા કે પ્રતિમાનું સર્જન બંને શિલ્પીના જ હાથમાં હોય છે પરંતુ પ્રતિમા બનાવીને ભવોભવ માટે ઉપકારી બનનારા એવા શિલ્પી શ્રેષ્ઠ હોય છે. ટીચર ઉપયોગી બને તેનાથી વધુ ઉપકારી બને તે શ્રેષ્ઠ છે. આ સાથે જ, મ્યુનિસિપલ ટેન્કમાંથી સપ્લાય થતાં પાણી અને બોરવેલમાંથી ખેંચીને કાઢવામાં આવતાં પાણીના હૃદયસ્પર્શી દ્રષ્ટાંત દ્વારા પૂજયશ્રીએ કહ્યું હતું કે, માત્ર બહારના રેડીમેડ કોર્સની સપ્લાય કરીને સ્ટુડન્ટને ભણાવવા કરતાં જે ટીચર સ્ટુડન્ટની અંતરશકિતનું ડ્રીલીંગ કરી જાણે છે તે સ્ટુડન્ટની આંતરિક ચેતના અને અંદરનું જ્ઞાન બહારમાં પ્રગટ થયાં વિના નથી રહેતું. સ્ટુડન્ટને માત્ર બહારનું સપ્લાય કરશો તો સ્ટુડન્ટને સૂઝ મળશે પરંતુ એની હૈયાસૂજ નહીં ખીલે અને અંતે તે એક એવરેજ સ્ટુડન્ટ બનીને રહી જશે. આ સપ્લાય-અપ્લાયની ટીચીંગ સ્ટાઈલથી જાણે અજાણે સ્ટુડન્ટ અને ટીચરની વચ્ચે એક વોલ ઉભી થઈ જતી હોય છે જેના કારણે સ્ટુડન્ટના હૃદયમાં ટીચર માટેનો જોઈએ તેવો રિસ્પેકટ લેવલ જાગૃત નથી થતો.

આ સાથે જ, ઉપસ્થિત સભાને ભારતના ભાવિના ઘડવૈયા તરીકે ઓળખાવીને વધુમાં રાષ્ટ્રસંત પૂજયશ્રી એ કહ્યું હતું કે, રોજગારી મેળવવા માટે માત્ર કલાસરૂમની દીવાલોને જીતી જાય તે એવરેજ ટીચર બનીને રહી જતાં હોય છે પરંતુ સ્ટુડન્ટના આજના નેચર કરતાં પણ એનું ફયુચર બતાવીને દિલ જીતી જનારા ટીચર તે વાસ્તવિકતામાં સકસેસફુલ ટીચર બની જતાં હોય છે.

ઘણીવાર ભણાવતાં ભણાવતાં ટીચર બ્લેન્ક થઈ જતાં હોય છે એના મૂળમાં ઓકિસજનની ઉણપનું કારણ જણાવીને પૂજયશ્રીએ કલાસરૂમમાં શબ્દની સાધના કરાવવા પહેલાં ધ્યાન સાધના અને યોગ સાધના કરવાનું સૂચન કર્યું હતું. ભણાવતાં પહેલાં ઓરા સ્નાનનો માસ્ટર મંત્ર આપતાં કહ્યું હતું કે, દરેક સ્ટુડન્ટનું શુભ થઓ એવી ભાવના સાથે ભણાવનારા ટીચર કદી ફેઈલ નથી થતાં. પરંતુ પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે ત્યારે હતાશ થયાં વિના પ્રયત્ન ચાલુ રાખીને જેના અંદરની જ્ઞાન ક્ષમતા ખીલી ન હોય એવા સ્ટુડન્ટનું પણ ઉજળુ ભવિષ્ય હોઈ શકે તે વાતું મહત્વ સમજાવ્યું હતું. અંતે, સ્ટુડન્ટને ટોર્ચર કરનારા નહીં પરંતુ જીવનની પ્રેરણા આપતી ટોર્ચ જેવા ટીચર બનવાની પ્રતિજ્ઞા લેવાની પ્રેરણા રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કરતાં સહુએ સહર્ષ ઝીલી લીધી હતી. આ અવસરે પૂજય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત સર્વને વોઈસ મોડ્યુલેશન, પાવર ઓફ પ્યુરીટી અને ફેઈલ્યોર મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની સમજ આપીને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિલાંબરીબેન દવે તેમજ અન્ય સિન્ડીકેટ સદસ્યોએ રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમાં પુસ્તક અર્પણ કરીને અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.   

કુલપતિ નિલાંબરીબેન દવે, ડો.   મેહુલભાઈ રૂપાણી, ડો.  ધરમ કંબાલીયા, ડો.ગિરીશભાઈ ભિમાણી, ડો. વિજયભાઈ દેસાણી, ડો. શ્રી નિદ્દતભાઈ બારોટ, ડો. જનકભાઈ મકવાના તેમજ ડો.  મહેશભાઈ ચૌહાણ દ્વારા સંત - સતીજીઓ પ્રત્યે આભારની અભિવ્યકિત કરવામાં આવી હતી. ઉપસ્થિત યંગસ્ટર્સને પ્રોત્સાહિત કરતાં પૂ.શ્રીએ જણાવેલ કે ''મને આવડે છે તે જ પરિક્ષામાં આવવાનું છે અને જે પરિક્ષામાં આવવાનું છે તે મને આવવાનું છે'' ના રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી થએલાં પોઝીટીવ વચનો સાથે શિબિર સંપન્ન થઈ હતી.

(4:39 pm IST)