Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સોખડાના કોળી વૃધ્‍ધ અણદાભાઇનું રૂડાનગરમાં જનાવર કરડી જતાં મોત

મુસ્‍લિમ લાઇનમાં શહેનાઝબેનનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ પર સાત હનુમાન પાછળ આવેલા સોખડા ગામમાં રહેતાં અને રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં પગીપણું કરતાં કોળી વૃધ્‍ધનું જનાવર કરડવાથી મોત નિપજ્‍યું છે.

સોખડા રહેતાં અણદાભાઇ દેવાભાઇ ધોરીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્‍ધ ગત રાત્રે નવેક વાગ્‍યે પગીપણાની નોકરી પર રૂડાનગરમાં હતાં ત્‍યારે કોઇ જનાવર કરડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર અણદાભાઇ બે ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. બનાવથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનામાં કેસરી પુલ પાસે મુસ્‍લિમ લાઇનમાં માણાવદર ટ્રાન્‍સપોર્ટ પાસે રહેતાં શહેનાઝબેન ફિરોઝભાઇ બેલીમ (ઉ.૩૮) નામના મહિલાએ ૧૪મીએ ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

રામેશ્વર પાર્કના ઘનશ્‍યામભાઇ કોટેચાનું બેભાન હાલતમાં મોત

રૈયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં નિવૃત એસટી ડ્રાઇવર ઘનશ્‍યામભાઇ પ્રાણજીવનભાઇ કોટેચા (ઉ.૭૩)ને વહેલી સવારે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતક છ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. યુનિવર્સિટીના હેડકોન્‍સ. અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પ્રહલાદ પ્‍લોટમાં મમતાબેન રાણપરા

દાઝી ગયા

પ્રહલાદપ્‍લોટ-૧૩/૧૫માં રહેતાં મમતાબેન પ્રહલાદભાઇ રાણપરા (ઉ.૪૨) સાંજે આઠેક વાગ્‍યે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણી ગેસ પર રસોઇ બનાવતાં હતાં ત્‍યારે ઓઢણીને ઝાળ અડી જતાં દાઝી ગયાનું જણાવાતાં એ-ડિવીઝન પોલીસને એન્‍ટ્રી નોંધાવાઇ હતી.

(11:38 am IST)