Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ કડવા પટેલ ઇશ્વરભાઇનો ફાંસો ખાઇ આપઘાત

ત્રણ માસ પહેલા રાજીનામુ આપવા તજવીજ કરી'તી પણ સાથી કર્મચારીઓએ સમજાવતાં નોકરી ચાલુ રાખી હતીઃ આત્મહત્યાનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૧૬: કાલાવડ રોડ પરની સિલ્વર એવન્યુ સોસાયટીમાં રહેતાં અને સિવિલ હોસ્પિટલમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતાં ઇશ્વરભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.૫૬) નામના કડવા પટેલ પ્રોૈઢે રવિવારે સાંજે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઇશ્વરભાઇના પત્નિ સ્મિતાબેન સાંજે શાકભાજી લેવા માટે ગયા હતાં. પરત આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીઓને બલાવ્યા હતાં. એક વ્યકિતએ અગાસીએ જઇ ઉપરના ભાગનું બારણું તોડી અંદર જઇ તપાસ કરતાં ઇશ્વરભાઇ લટકતા જોવા મળ્યા હતાં. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ઇશ્વરભાઇને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક અમદાવાદ અને બીજા જુનાગઢ રહે છે. પોતે સિવિલમાં ફાર્માસિસ્ટ હતાં. ત્રણેક માસ પહેલા રાજીનામુ મુકવા તજવીજ કરી હતી. પણ સાથી કર્મચારીઓએ સમજાવતાં નોકરી ચાલુ રાખી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૧)

(3:58 pm IST)