Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

બેડીનાકામાં સેન્ટીંગ કામ વખતે પડી જતાં મનહરપુરના રામજીભાઇ ચાંદેગરાનું મોત

પ્રજાપતિ વૃધ્ધ મુળ જુનાગઢના વતની હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર માધાપર નજીક મનહરપુરમાં રહેતાં પ્રજાપતિ વૃધ્ધ બેડીનાકા ગેઇટ અંદર મકાન રિનોવેશનની સાઇટ પર સેન્ટીંગ કામ કરતી વખતે પહેલા માળેથી પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ મનહરપુર-૧માં રહેતાં રામજીભાઇ આંબાભાઇ ચાંદેગરા (ઉ.વ.૮૪) નામના સોરઠીયા પ્રજાપતિ વૃધ્ધ ગઇકાલે સાંજે બેડીનાકા ગેઇટ અંદર મકાન રિનોવેશનનું કામ ચાલુ હોઇ ત્યાં પહેલા માળે સેન્ટીંગ કામ કરતી વખતે અકસ્માતે પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રવિભાઇ એલ. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ મુળ જુનાગઢના વતની હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

(3:10 pm IST)