Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આવતા સપ્તાહથી મેયર ડેસ્ક બોર્ડનો પ્રારંભ જુલાઇમાં કોલ સેન્ટરની ફરીયાદોનો ઓટીપીથી નિકાલ

મ.ન.પા. પ્રજાલક્ષી કામગીરીનાં ડીજીટલ યુગમાં: પ્રદીપ ડવ-પુષ્કર પટેલનાં સફળ પ્રયાસો : ઓગષ્ટમાં વોટસએપનાં માધ્યમથી જન્મ-મૃત્યુનોંધ સર્ટીઃ વેરા બીલ અને પૈસા ભર્યાની રીસીપ્ટ મળવા લાગશેઃ બજેટનાં આયોજનો પુર્ણ કરવા મેયર - સ્ટેન્ડીંગ ચેરમેનની કટીબધ્ધતા

રાજકોટ તા. ૧૬ :.. મ.ન.પા. દ્વારા હવેથી ફરીયાદ નિકાલ, જન્મ-મૃત્યુ નોંધ સર્ટી, વેરા બીલ, વેરો ભર્યાની રીસીપ્ટ વગેરે પ્રજાલક્ષી કામગીરીનું ડીજીટલાઇઝેશન કરવામાં આવનાર છે. આ ડીજીટલાઇઝેશનનાં ભાગરૂપે આવતાં અઠવાડીયાથી મેયરની ઓફીસમાં મેયર 'ડેસ્ક બોર્ડ' નો પ્રારંભ થઇ જશે. જયારે જૂલાઇ મહીનાથી કોલ સેન્ટરમાં નોંધાતી ફરીયાદનો નિકાલ અરજદારના ઓ. ટી. પી. થી જ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. અને ઓગસ્ટ મહીનામાં વોટસ એપનાં માધ્યમથી જન્મ-મૃત્યુ નોંધતાં  સર્ટી, વેરા વેર બીલ, વેરો ભર્યાની પહોંચ નાગરીકોને મોબાઇલ પર જ મળવા લાગે તેવી સુવિધા શરૂ થશે.

આ અંગેની વિગતો મૂજબ મનપામાં વર્ષ ર૦ર૧થી ર૦ર૬ સુધીમાં પાંચ વર્ષ માટે શાસન ધુરા સંભાળનાર ભાજપે પ્રથમ રાા વર્ષ માટે મેયર સહિતના પદાધિકારીઓની અનુભવી અને યુવા ટીમને જવાબદારી સુપ્રત કરી છે. ત્યારે આ નવનિયુકત પદાધિકારીઓની નવી યુવા વાઇબ્રન્ટ ટીમે પાર્ટીએ તથા પ્રજાએ જવાબદારી સોંપી છે. તેને પુરી નિષ્ઠા બજાવી અને પ્રત્યેક નાગરિકોને ઘરે બેઠા સવલતો મળે, ઝડપી સવલતો મળે, ઝડપી ફરિયાદ નિવારણ, ટેકનોલોજીનો મહતમ ઉપયોગ તથા નવા ભેળવાયેલ વિસ્તારો પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય અને આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા સફળ પ્રયાસો કરી ચુંટણીમાં જે વચનો અપાયા છે. તે પુરા કરવા કટીબધ્ધતા વ્યકત કરી હતી.મ.ન.પા.માં શાસન ધુરા સંભાળ્યા બાદ પ્રથમ રાા વર્ષ માટે નિયુકત થયેલા મેયર પ્રદીપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળાની યુવા ટીમ તેમના કાર્યકાળમાં પ્રજાલક્ષી અને સર્વાગી વિકાસ માટેના આયોજનો માટે બ્લુય પ્રિન્ટ અગાઉ રજુ કરી ચૂકયા છે.

તે વખતે મેયરશ્રીએ જણાવ્યુ઼ હતું કે રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મેળવી રહયુ છે. ત્યારે આધુનિક ટેકનોલોજીના મહત્ત્।મ ઉપયોગ થકી શહેર ખરાઅર્થમાં સ્માર્ટ સીટી બને તે માટે નાગરિકોને મ.ન.પા. દ્વારા ઓન લાઇન વહીવટી સેવાઓ જેવી કે ઘરેબેઠા જન્મ - મૃત્યુ નોંધ - લગ્નનોંધ પ્રમાણપત્રો મળી રહે., ફરિયાદો થઇ શકે, ફીરયાદનું સ્ટેટસ જાણી શકે વગેરે સવલતો દ્યેર બેઠા આપવા માટે ઓનલાઇન સેવાઓ પુરી પાડવામાં આવશે. જેમાંથી કેટલીક સવલતો જેવી કે ઓનલાઇન વેરો ભરવો, વગેરે ચાલુ જ છે. નવી ઓનલાઇન સેવાઓ હવે ટુંક સમયમાં જ શરૂ થઇ જશે.

જેના ભાગરૂપે લોકોની ફરિયાદોનો ત્વરીત નિકાલ થાય, કોઇએ કચેરી સુધી ધક્કો ખાવો ન પડે તે માટે ગાંધીનગરમાં આખા રાજયનું સી.એમ. ડેસકબોર્ડ શરૂ થયુ છે. તેજ પ્રકારે રાજકોટનાં પ્રત્યેક વિસ્તારોને જોડતુ 'મેયર ડેસ્ક બોર્ડ' શરૂ થશે.

આ 'મેયર ડેસ્ક બોર્ડ' થકી મેયરશ્રી પ્રત્યેક નાગરિકો સાથે જોડાયેલા રહેશે. એટલું જ નહી લોકો સાથે ફરિયાદો, નવી સુવિધાઓ બાબતે વિડીયો કોન્ફરન્સ થકી વાર્તાલાપ કરી શકશે. સાથે સાથે મ.ન.પા.ની રોડ, રસ્તા, પાણી, જેવી સુવિધા દરેક વિસતારમાં મળે છે કે કેમ ? તેના પર પણ નજર રાખી અને ઝડપી ત્થા ગુણવતામાં વિકાસ કામો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.

દરમિયાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે બજેટની યોજનાઓ અંગે અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ યોજી હતી. જેમાં સૌ પ્રથમ મ.ન.પા.ની ફરીયાદ નિકાલ માટેનાં કોલ સેન્ટરનો ફોન નંબર ટોલ ફ્રી કરીને જે કોઇ નાગરીક ફરીયાદ નોંધાવે તેની ફરીયાદનો નિકાલ થયા બાદ ફરીયાદ કરનાર નાગરીક તેના મોબાઇલ ફોનમાં જનરેટ થયેલ. ઓ. ટી. પી. કોલ સેન્ટરને મળ્યા બાદ જ ફરીયાદ નીકાલનો મેસેજ ફરીયાદનો મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે. જેથી ફરીયાદ નિકાલ થઇ ગઇ છે. તેવા ખોટા મેસેજ ફરીયાદીને મોકલી નાગરીકોને મૂરખ બનાવી ન શકે.

ત્યારબાદ ઓગસ્ટ મહીનામાં વોટસ એપનાં માધ્યમથી નાગરીકો પોતાનાં મોબાઇલમાં ઘેર બેઠા, જન્મ-મૃત્યુ નોંધનાં સર્ટી, વેરા બીલ વગેરે મેળવી શકે તેવી સુવિધા શરૂ થશે.

આમ શહેરની પ્રજાલક્ષી કામગીરી વધુ ઝડપી અને સરળ બને તે માટે ડીજીટલાઇઝેશનની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

(3:05 pm IST)