Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પતિ, જેઠ, સસરાએ ચારિત્ર્ય પર શંકા કરતાં નગમા હાલાએ છ માસ પહેલા પણ મરવાનો પ્રયાસ કયો'તો

બજરંગવાડીની પરિણીતાને મરવા મજબૂર કરનારા સામે ગુનો દાખલ થયો : પિતાએ કહ્યું-અગાઉ અમારી દિકરીને જીન્સ-આધુનીક કપડા પહેરવા છુટ અપાઇ'તી પણ બાદમાં જમાઇને પસંદ નહોતું પડતું: દિકરીનો મોબાઇલ અને એકટીવા પણ લઇ લેવાયા હતાં

રાજકોટ તા. ૧૬: બજરંગવાડી પુનિતનગરમાં રહેતી નગ્માબેન સમિર હાલા (ઉ.૨૫) નામની મુસ્લિમ પરિણીતાએ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પતિ સમિર, સસરા હાજીભાઇ હાલા અને જેઠ મુસ્તાક હાલા દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ અપાતો હોવાથી તે મરી જવા મજબૂર થયાનું તેણીના પિતા આમદભાઇ ખાનભાઇ બાંભણીયા (ઉ.૬૦-રહે. જંગલેશ્વર)એ જણાવતાં પોલીસે તેમની ફરિયાદ પરથી આ ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. પિતા આમદભાઇએ જણાવ્યું છે કે મારી દિકરી નગ્માએ આ લોકોના ત્રાસને કારણે છ મહિના પહેલા પણ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો!

આમદભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારે ચાર દિકરી અને એક દિકરો છે. જે બધા પરણેલા છે. દિકરો મારી સાથે જ તેની પત્નિ સાથે રહે છે. સોૈથી નાની દિકરી નગ્માના લગ્ન છએક વર્ષ પહેલા બજરંગવાડીના સમિર હાલા સાથે થયા હતાં. તેને સાડા ત્રણ વર્ષની દિકરી સારા છે. બુધવારે વહેલી સવારે મારા જમાઇ સમિરના બનેવીએ મારા ઘરે આવી તમારી દિકરી નગ્માએ ગાળફાંસો ખાઇ લેતાં મૃત્યુ થયું છે તેવી જાણ કરી હતી. એ પછી અમે બજરંગવાડીમાં તેના ઘરે ગયા હતાં.

દિકરીની બાજુમાં જ એક જ દિવાલે તેણીના સસરા-સાસુ, જેઠ સહિતના રહે છે.  દિકરીએ પંદર દિવસ પહેલ જ મને, મારા પત્નિ અને દિકરાને કહ્યું હતું કે તેનો પતિ સમિર, સસરા હાજીભાઇ અને જેઠ મુસ્તાક અવાર-નવાર ચારિત્ર્ય પર શંકા કરી હેરાન કરે છે. આથી અમે તેને માથાકુટ નહિ કરવા સમજાવી હતી. આમ છતાં ત્રાસ હોઇ તેણીએ મહિલા પોલીસમાં અરજી કરી હતી. મારી દિકરીએ છ મહિના પહેલા પણ ત્રાસને લીધે શરીરે કેરોસીન છાંટી લીધું હતું. ત્યારે પણ અમે તેની ઘરે જઇ તેને સમય આવ્ય સારું થઇ જશે તેમ કહી સમજાવી હતી.

મારી દિકરીને જમાઇએ મોબાઇલ અને એકટીવા લઇ દીધા હતાં. શંકા કરી એ પણ પાછા લઇ લીધા હતાં. અગાઉ અમારી દિકરીને જીન્સ તથા આધુનિક કપડા પહેરવા છુટ અપાઇ હતી. પરંતુ બાદમાં જમાઇને આ પસંદ પડતું ન હોઇ ચારિત્ર્ય પર શંકા કરી હેરાન કરતો હતો. આમ પતિ, જેઠ અને સસરા ત્રણેયના ત્રાસથી તે મરી જવા મજબૂર થઇ છે. તેમ વધુમાં આમદભાઇએ જણાવતાં ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, પી.એસ.આઇ. પરમાર, જયસુખભાઇ હુંબલ, ભાનુભાઇ, રશ્મીનભાઇ સહિતે તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)