Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નવમા માળેથી સોની યુવતિની મોતની છલાંગ

મોટા મવામાં સેલેનિયમ એપાર્ટમેન્ટમાં બનાવઃ ૨૫ વર્ષની નકીતા અનિલભાઇ લોઢીયા છુટાછેડા બાદ માવતર સાથે રહેતી'તીઃ મોબાઇલમાં વાત કરવા બાબતે ઠપકો મળતાં માઠુ લાગી આવ્યું

જ્યાં ઘટના બની તે એપાર્ટમેન્ટ, યુવતિનો નિષ્પ્રાણ દેહ અને કાર્યવાહી માટે પહોંચેલા પીએસઆઇ મેડમ એસ.આર. સોલંકી, રમેશભાઇ ચોૈહાણ, સુધાબેન, રઝાકભાઇ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: કાલાવડ રોડ પર મોટા મવામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતાં સોની પરિવારની ૨૫ વર્ષની દિકરીએ સવારે નવમા માળેથી પડતું મુકી જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ યુવતિ કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હોઇ તેની પરિવારજનોને ખબર પડતાં ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલું ભરી લીધું હતું.

જાણવા મળ્યા મુજબ મોટા મવામાં માસુમ સ્કૂલની બાજુમાં આવેલા આવેલા સેલેનિયમ સ્કવેર એપાર્ટમેન્ટમાં રહેતી નિકીતા અનિલભાઇ લોઢીયા (ઉ.૨૫) નામની સોની યુવતિએ સવારે આઠેક વાગ્યા પહેલા આ એપાર્ટમેન્ટના નવમા માળની ગેલેરીમાંથી પડતું મુકી દેતાં મોત નિપજ્યાની જાણ ૧૦૮ના ઇએમટી હિરેનભાઇ તથા પાઇલોટ ચેતનસિંહ મારફત થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ મેડમ એસ.આર. સોલંકી, હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ, રાઇટર રઝાકભાઇ દલ, કોન્સ. સુધાબેન ચોૈહાણ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિકીતા બે બહેનમાં  મોટી હતી અને યાજ્ઞિક રોડ પર આવેલા કોસ્મેટિક ચીજવસ્તુના શો રૂમમાં નોકરી કરતી હતી. તેના પિતા અનિલભાઇ લોઢીયા ચાંદીકામ કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ સિમાબેન છે.

 નિકીતાના અગાઉ બાટવા ખાતે લગ્ન થઇ ગયા હતાં અને બાદમાં છુટાછેડા લઇ લીધા હતાં. એ પછી તેણી માવતર સાથે રહેતી હતી.  પરિવારને મદદરૂપ થવા તે નોકરી કરવા જતી હતી. ગત સાંજે નિકીતા કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હોઇ તેની માતાને જાણ થઇ જતાં ઠપકો આપતાં તેણીને ખોટુ લાગી ગયું હતું અને ગુમસુમ થઇ સુઇ ગઇ હતી. એ પછી આજે સવારે આ પગલું ભરી લીધું હતું. યુવાન દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:45 pm IST)