Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સસ્તા અનાજની દુકાને 'ચોખા'ની ગુણીમાં મરેલા ગરોળી-ઉંદરો

નવયુગપરામાં ખોડા હાજા સાગઠીયાની દુકાને મરેલા ઉંદરો નીકળી પડતા કાર્ડ હોલ્ડરો ઉકળી ઉઠયાઃ કોર્પોરેટરને જાણ કરાઈ...

આજે સસ્તા અનાજના દૂકાનદાર ખોડા હાજા  સાગઠીયાની દુકાને ચોખાની ગુણોમાંથી ગરોળી-મરેલા ઉંદર નીકળી પડતા ધમાલ થઇ હતી, કોંગી આગેવાનો જશવતસિંહ ભટ્ટી, કેયુર મસરાણી વિગેરે દૂકાનદારને ત્યાં દોડી ગયા હતા, અને દૂકાનદાર સાથે ધમાલ મચાવી હતી, લોકોના કાર્ડ હોલ્ડરોના ટોળા એકઠા થયા હતા, પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો, આ પછી જશવતસિંહ અને અન્ય આગેવાનો કલેકટર કચેરીએ દોડી ગયા હતા, અને કલેકટરની ચેમ્બરમાં દોડી જઇ કલેકટરશ્રીના ટેબલ ઉપર સડેલા ચોખાનો ઘા કરી ઢગલો કરતા  મામલો ઉગ્ર બની ગયો હતો, તસ્વીરમાં કલેકટરશ્રીની ચેમ્બરમાં તેમના ટેબલ ઉપર ચોખાનો ઢગલો જણાય છે, અને કલેકટર- તથા જશવંતસિંહ વચ્ચે થઇ રહેલ ઉગ્ર ટપાટપી નજરે પડે છે, નીચેની તસ્વીરમાં સસ્તા અનાજના દૂકાનદારને ત્યાં લોકોના ટોળા, દૂકાનદારની દુકાનમાં ધમાલ, ચોખાની ગુણીમાંથી નીકળી પડેલા મરેલા-ઉંદર અને ગરોળી-કાર્ડ હોલ્ડરોના લેવાતા નિવેદનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :. આજે સવારે નવયુગપરા-૫/૬માં આવેલ સસ્તા અનાજના દુકાનદાર ખોડા હાજા સાગઠીયાની દુકાનમાં ચોખા-ઘઉંના બાચકા ગુણીમાંથી મરેલા ઉંદરો નીકળી પડતા ખળભળાટ મચી ગયો છે, દુકાનદારને ત્યાં લોકોના ટોળા એકઠા થયા છે.

સવારે દુકાન ખોલાયા બાદ કાર્ડ હોલ્ડરો માલ લેવા આવ્યા ત્યારે દુકાનદારે ચોખાની ગુણી ખોલી તો તેમાથી મરેલા ઉંદરો નીકળી પડતા દુકાનદાર અને કાર્ડ  હોલ્ડરો હેબતાઈ ગયા હતા. કાર્ડ હોલ્ડરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો અને દુકાનદાર સાથે માથાકુટ સર્જયા બાદ આ વિસ્તારના કોર્પોરેટર કેયુર મસરાણીને બોલાવ્યા હતા અને પુરાવા સહિતની વિગતો આપી હતી, આ પછી રાજકોટના કોંગી અગ્રણી જશવંતસિંહ ભટ્ટી અને અન્યો દોડી ગયા હતા.

જશવંતસિંહ ભટ્ટીએ પત્રકારોને જણાવેલ કે, મરેલા ઉંદરોના ઢગલા છે, આ પૂરવઠા તંત્રની ઘોર બેદરકારી છે, આ બધો જથ્થો કેન્સલ કરવો જોઈએ. કલેકટર સુધી રજૂઆતો કરાશે.

ઘટનાની જાણ થતા ઉપરોકત સસ્તા અનાજના દુકાનદારને ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા. દરમિયાન પૂરવઠાના સત્તાવાર સાધનોએ એવુ કહ્યું હતુ કે, અમારી પાસે કોઈ ફરીયાદ નથી આવી તેમજ આ જથ્થો પૂરવઠા નિગમના ગોડાઉનમાંથી આવ્યો હોય ત્યાંના અધિકારીઓ તપાસ કરશે. હાલ તો અમારી પાસે મરેલા ઉંદરો અંગે કોઈ ફરીયાદ આવી નથી. દરમિયાન આ ઘટના બાદ કોંગી આગેવાનો કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને કલેકટર સાથે માથાકુટ સર્જાયાનું બહાર આવ્યુ છે.(૨-૧૭)

 

(4:10 pm IST)