Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગુજરાતને તમાકુ મુકત કરો : મુખ્યમંત્રીનું આહવાન

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કેન્સરનાં મેગા નિદાન કેમ્પનો પ્રારંભ કરાવતાં વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે કેન્સર જાગૃતિ  કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, લોક સહયોગ અને રાજય સરકારનાં સંયુકત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબધ્ધ છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજીક જાગૃતિ થકી તિલાંજલી આપવા આહવાન કર્યુ હતું.

કેન્સર મુકત ગુજરાતનાં અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે,મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતા ગર્ભાશયનાં કેન્સરનાં વહેલા નિદાન માટે વિદેશમાં અમલમાં મુકાયેલ પેપ નિદાન ચિકિત્સા અમલમાં મુકવા રાજય સરકાર પ્રતિબધ્ધ્  છે કેન્સર નિષ્ણાંતો સાથે પરામર્શ કરી રાજય સરકાર પેપ નિદાનની પોલીસી લાવશે.

સમારોહનાં પ્રમુખસ્થાનેથી ઉદબોધન કરતા HCG કેન્સર સેન્ટર અમદાવાદનાં કેન્સર સર્જન ડો. કૌસ્તુભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કેન્સરને જાણે એ જીતે અને તેનાં ઉપર વિજય મેળવી શકાય છે. ડરે એ મરે છે. વહેલું કેન્સરનું નિદાન કરવામાં આવે તો દર્દીઓ બચી શકે છે. કેન્સર વ્યસન, વ્યકિતની જીવનશૈલી, ભોજનની અનિયમિતતા અને વાતાવરણનાં પ્રદુષણથી પણ થઇ શકે છે જે માટે આપણે જાગૃત થવું જરુરી છે આ તકે ડો. પટેલએ પ્રઝન્ટેશન થકી કેન્સર રોગ અંગેની માહિતી પુરી પાડી હતી.

સ્વાગત પ્રવચન કરતા ડો. જૈમિનભાઇ ઉપાધ્યાયએ શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટની સેવાકિય પ્રવૃતિની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. કેન્સર અવેરનેસ અને નિદાન કેમ્પમાં ઉપસ્થિત લોકોને નિષ્ણાંત ડોકટરો ધ્વારા ખુબજ ઉપયોગ આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મો, ગળુ, જડબા, બ્રેસ્ટ તથા ગર્ભાશયનાં તમામ પ્રકારનાં કેન્સર નિદાન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.કૌશિક પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો. દુષ્યંત માંડલીક, ડો. પરીનભાઇ પટેલ, ડો. ભરતભાઇ પ્રજાપતિ, ડો. રશ્મિનબેન શાહ વગેરે ખુબજ સક્રિય રીતે સેવા પુરી પાડી હતી

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો  સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુ.ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ,પુર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા,અમદાવાદ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ મીરાણી, માંધાતાસિંહ જાડેજા,  મેહુલભાઇ રૂપાણી, રાજુભાઇ ધ્રૃવ, ડો. અમીતભાઇ હાપાણી, જીતુભાઇ કોઠારી, શ્રી નેહલભાઇ શુકલ વગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાનાં અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, અમીશભાઇ રૂપાણી,  દિવ્યેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્, નયનભાઇ શાહ, બિપીનભાઇ વસા વગેરે ખુબજ સક્રિય રહયા હતાં. કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ ઉઠાવ્યો હતો.આભારવિધિ ડો. વિભાકર વચ્છરાજાનીએ કરી હતી.(૨૩.૭)

(4:06 pm IST)