Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના સામે મનપા આક્રમકઃ ધડાધડ પગલાઃ ૫૭ હોર્ડીંગ લગાવ્યાઃ ૧૫ દિ' ઓડીટોરીયમનું બુકીંગ બંધઃ ઝૂપડપટ્ટીમાં સફાઈ ઝૂંબેશ

મેયરની અધ્યક્ષતામાં મીટીંગ મળીઃ જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સંકલનઃ તમામ પ્રકારનું પ્લાનીંગ : ફનસ્ટ્રીટ પર હાલ પ્રતિબંધઃ દવાનો પુરતો સ્ટોકઃ લોકોને જાગૃતિ અને કાળજી રાખવા મેયર-મ્યુ. કમિશ્નરની અપીલ

રાજકોટ, તા. ૧૬:   હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી રહી છે, તેમજ આ બાબતમાં નાગરિકો વધુ સતર્ક રહે તે માટે સતત પ્રયાસ પણ કરે છે. વર્તમાન સંજોગોમાં વહીવટી તંત્રની સાથોસાથ નાગરિકો પણ જરૂરી જાગૃતતા દાખવે એ ઇચ્છનીય અને આવશ્યક છે. ત્યારે આજે માન. મેયર  બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવાની થતી કાર્યવાહી અંગે ધનિષ્ઠ ચર્ચા થઇ હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા. જેમાં મનપાના સ્વીમીંગ પુલ, જીમ, વાંચનાલય, સ્કુલ બંધ કરાયા છે, જયારે હોકર્સ ઝોન અને માર્કેટની રેગ્યુલર સફાઈ અને સ્વાસ્થ્ય સંબધી કામગીરી માટે સંયુકત ટીમની રચના કરવામાં આવી રહેલ છે. શહેરમાં નાના મોટા ૫૭ હોર્ડિંગ બેનર દ્વારા તથા મનપાની વિવિધ વિસ્તારમાં આવેલી એલ.ઇ.ડી. સ્ક્રીન પર જનજાગૃતિ અર્થે લોકોને ઉપયોગી માહિતીનો પ્રચાર પ્રસાર શરુ કરાયો છે. આ બેઠકમાં ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ, નેતા  શાસક પક્ષ  દલસુખભાઈ જાગાણી, દંડક  અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સેનિટેશન કમીટીના ચેરમને  અશ્વિનભાઈ ભોરણીય, ડે. મ્યુનિ. કમિશનર  બી.જી,પ્રજાપતિ, આરોગ્ય અધિકારી   ડો. વીરડીયા તેમજ ડો. રાઠોડ, ડો. ચુનારા, ડો. જયદીપ જોષી, પર્યાવરણ ઇજનેર  નિલેશ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

     આગામી તા. ૨૯ ,અર્ચ સુધી મનપાના ઓડીટોરીયમનું નવું બુકિંગ બંધ કરાયું છે, તેમજ અગાઉથી થઇ ગયેલ હોય તેવા બુકિંગના કિસ્સામાં સંબધિત લોકોને તથા સંસ્થાને પોતાના કાર્યક્રમ હાલ મોફૂક રાખવા અપીલ કરાઇ છે. જો તેઓ પોતાના કાર્યક્રમ બંધ રાખે તો તેમને રીફંડની રકમ પરત કરાશે અને સ્થિતિ નોર્મલ બન્યા બાદની નવી તારીખ જોઈતી હશે તો એ પણ ફાળવવામાં આવશે. શહેરની વિવિધ ઝુંપડપટ્ટીમાં દ્યનિષ્ટ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત પેમ્પલેટથી લોકોને કોરોના વાઈરસથી બચવા શું કરવું ? અને શું ન કરવું? તેની માહિતી આપવામાં આવશે.

     રાજય સરકાર  દ્વારા જાહેરમાં થુંકતા વ્યકિતને રૂ. ૫૦૦/- નો દંડ કરવાની સુચના અનુસંધાને રાજકોટમાં તેની અમલવારી મનપા દ્વારા થઇ રહી છે. મનપા દ્વારા છેલ્લા ૬ માસમાં ૪૦૦૦ વ્યકિતઓને દંડ કરવામાં આવેલ છે. આ કામગીરી અત્યારથીજ વધુ દ્યનિષ્ઠ બનાવવામાં આવી રહી છે. શહેરમાં યોજાતી ફ્ન સ્ટ્રીટ બંધ કરવામાં આવેલ છે. મનપાના તમામ ૨૧ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી હોમિયોપેથિક દવા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરના રાજમાર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવાની કામગીરી વધુ દ્યનિષ્ઠ બનાવવામાં આવી છે. 

નાગરિકોને મેયર  અને મ્યુનિ. કમિશનરનો અનુરોધ

-શ્વાસોશ્વાસની સભ્યતા એટલે કે છીંક અને ઉધરસ વખતે નાક અને મોં ઢાંકવું. જાહેરમાં થુંકવું નહિ.

-નિયમિત રીતે સાબુ અને પાણીથી વારંવાર (ઓછામાં ઓછા ૨૦ સેકંડ) હાથ ધોવા

-પોતાના હાથ આંખ, નાક અને હોઠથઈ દુર રાખવા

-હાથ મિલાવવાનું ટાળવું, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું

-અન્ય વ્યકિતઓને તાવ અને ખાંસી હોય તેનાથી સુરક્ષિત અંતર જાળવવું

-રોગના લક્ષણો જણાય તો તુરંત નજદીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો

શહેરમાં ભીડભાડ વાળી જગ્યા જેવીકે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, એરપોર્ટ, ધાર્મિક સ્થળો, બજારો-મોલ, તહેવારો નીમીતેના મેળાઓ, બાગ બગીચા, લગ્ન પ્રસંગો માટેની વાડીઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સીટી, હોસ્પિટલ, દવાખાના, પ્રવાસન વગેરે સ્થળો જેવી જગ્યા પર મોટી સંખ્યામાં અવરજવર રહે છે જે બાબતે નીચે મુજબના પગલા લેવામાં આવશે.

-જાહેર સ્થળોએ થૂંકનારને દંડ કરવામાં આવશે.

-જાહેર શૌચાલયમાં નિયમિત સફાઈ કરવામાં આવશે તથા સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા કરવામાં આવશે.

-બસ સ્ટેન્ડ, રેલ્વે, ટેક્ષી સ્ટેન્ડની તેમજ બસની અંદર નિયમિત સફાઈ કરવા તેમજ આ તમામ સ્થળોએ હાથ ધોવા માટે સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા માટે સંકલન થશે.

-શાળા, કોલેજ, ટ્યુશન કલાસીસમાં સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા તથા સાવચેતીના પગલા અંગે જાગૃતિ માટે સંકલન.

-જાહેર સ્થળોની સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી.

-સફાઈ કર્મચારીઓ કામગીરી દરમ્યાન માસ્ક, બુટ-મોજા પહેરે તેની વ્યવસ્થા કરવામાં આવશે.

-લગ્ન વાડી, હોલમાં ગંદકી ન થાય તે માટે નિયમિત સફાઈ.

હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર દવાખાનામાં સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા તથા શરદી-ખાંસીના દર્દીઓ સાથેની સુરક્ષિત અંતર જાળવવા જાગૃતિ અંગે સંકલન.

આવશ્યક ન હોય તેવી ફાઇલોને તાકીદે  નિકાલ કરો : કમિશ્નરનો આદેશ

રાજકોટ,તા.૧૬ : મહનગરપાલિકાના મ્યુ. કમીશનર શ્રી અગ્રવાલે એક મહત્વનો આદેશ કરી જણાવ્યું છે કે, જુદાં-જુદાં વિભાગોના શાખા અધિકારીઓ દ્વારા તેઓને ફાળવવામાં આવેલ વિભાગોની કામગીરીઓ સંબંધિત વહીવટી તથા ટેકનિકલ કામો માટેની ફાઇલો મંજૂરી, આદેશ અનુમતિ વગેરે તેમજ અમુક નીતિ વિષયક/નીતિ સંબંધિત બાબતો માટે નિર્ણય અર્થે અત્રે રજૂ કરવામાં આવે છે. તે ઉપરાંત અમુક રજૂઆતો/બાબતો/કામો માટેની ફાઇલો અમારા ફકત જાણ/વંચાણે/ધ્યાન પર મુકવા સારૂ અત્રેને રજૂ કરવામાં આવે છે. જેની આવશ્યકતા જણાતી ન હોય, જે ધ્યાને લઇ હવે પછીથી આ પ્રકારની ફાઇલો અત્રે મોકલાવાની રહેતી નથી, જેની નોંધ લેવી.

વિશેષમાં અત્રેથી સૂચના હોય તેવી જ જરૂરી ફાઇલો જાણ અર્થે સમક્ષ રજૂ કરવી. અને પરિપત્રની અમલવારી તાત્કાલીક અસરથી ચુસ્તપણે કરવાની રહેશે તેમ ઉમેરાયું છે. (૨૫.૧૪)

(4:06 pm IST)