Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

માં ઉમિયાની જ્યોત સાથે રાજકોટ થી સવાસો સાયકલ યાત્રિકો મોટા લીલીયા જશે : ભારે ઉત્સાહ

૨૮ થી ૩૦ મોટા લીલીયા ખાતે ઉમિયા માતાજીનો રજત જયંતિ મહોત્સવઃ જે સાયકલ યાત્રિકો જોડાવા માંગતા હોય તેમણે ૧૮મી સુધીમાં ફોર્મ ભરી દેવા જરૂરી

રાજકોટ : કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનો રજત જયંતિ મહોત્સવ નિમિત્તે અમરેલી (મોટા લીલીયા) ખાતે આગામી તા. ૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન યોજનારા ઉમિયા માતાજીનો રજત જયંતિ મોહત્સવ પ્રસંગે રાજકોટ સ્થિત શ્રી ઉમીયાજી યાત્રા સંઘ દ્વારા રાજકોટ થી મોટા લીલીયાની સાયકલ યાત્રા સાથે મા ઉમિયાજીના રથનું પણ શ્રધ્ધાપૂર્ણ આયોજન કરાયું છે. આયોજન સમિતિના કન્વીનર ભાણજીભાઇ સંતોકીના જણાવ્યા અનુસાર આશરે ૨૫ વર્ષ પછી રાજકોટ થી લીલીયાની સાયકલ યાત્રા યોજાઇ રહી છે. તા. ૨૬ માર્ચ સવારે સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે થી અખંડ પ્રગટી રહેલી મા ઉમિયાની જ્યોતના દર્શન કરી પ્રસ્થાન કરશે. સાયકલ યાત્રાના દાતાઓ શ્રી અરવિંદભાઇ પટેલ (ફિલ્ડમાર્શલ), બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન), મનસુખભાઇ પાણ (હાઇબોન્ડ સિમેન્ટ) ખાસ ઉપસ્થિત રહેશે.

ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ  ૧૬૫ કી.મી.ની સાયકલ યાત્રા કરી તા. ૨૮મી માર્ચે સવારે ૯ કલાકે લીલીયા પહોંચશે પ્રથમ રાત્રી દેરડી કુંભાજી, બીજીરાત્રી મતીરાળા ખાતે વિરામ લેશે.

તબીબી સુવિધા સાથેનું એક ખાસ વાહન પણ યાત્રિકો સાથે જ રહેશે. યાત્રિકો લીલીયા પોંહચે ત્યારે મા ઉમિયાના અખંડ જ્યોતની સ્વાગતની પણ વ્યવસ્થા રજત જયંતિ મહોત્સવ સમિતિ લીલીયા તરફથી કરવામાં આવી છે.

સાયકલ યાત્રીકો જોડાવા માગતા હોય તેઓ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેવા વિનંતી. છેલ્લી તારીખ ૧૮/૩/૨૦૨૦ છે. ફોર્મ ભરવા માટે (૧) ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ, જલજીત સોસાયટી મેઇન રોડ, (૨) મારૂતી સ્ટુડીયો, જનકપુરી સોસાયટી,  (૩) શીતલ ટ્રાવેલ્સ પંચાયતનગર (૪) શ્રીરામ હાર્ડવેર, કુવાડવા રોડ ખાતે થી ફોર્મ લઇને ભરી આપવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે. 

(12:18 pm IST)