Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

લાતી પ્લોટમાં સાંકળમાંથી છટકીને સામાનના હેરફેર માટેની લિફટ માથે પડતાં નિરૂભાનું મોત

આર્યનગરના ક્ષત્રિય વૃધ્ધ લાતી પ્લોટમાં ચાની કેબીન ચલાવતાં હતાં: સામેના કારખાના પાસે બનાવ

રાજકોટ તા. ૧૬: લાતી પ્લોટ-૧૪માં આવેલા આશાપુરા ટ્રેડિંગ કંપની નામના કારખાનાના ઓટા પર સામાનના હેરફેર માટેની લોખંડની લિફટ લોડીંગ પોઇન્ટ પર હતી ત્યારે તેની નીચેથી પસાર થઇ રહેલા ક્ષત્રિય વૃધ્ધ પર આ લિફટ સાંકળ તુટી જવાથી માથે પડતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું.

સામા કાંઠે સદ્દગુરૂનગર-૧૪ પાસે આર્યનગર-૬માં રહેતાં નિરૂભા છનુભા જાડેજા (ઉ.૬૦) લાતી પ્લોટ-૧૪માં ચાની કેબીન રાખી ગુજરાન ચલાવતાં હતાં. સાંજે સાડા પાંચેક વાગ્યે તેઓ કેબીન પાસે જ આવેલા આશાપુરા ટ્રેડિંગ નામના કારખાના પાસે સામાનના હેરફેર માટેની લિફટ ઉપર ટીંગાતી હતી તેની નીચેથી પસાર થતાં હતાં તે વખતે જ અચાનક લિફટની લોખંડની સાંકળ તૂટતાં આશરે પચાસેક કિલો વજનની આ લિફટ નિરૂભાની માથે પડતાં ગંભીર ઇજા થતાં કારખાનેદાર મનોજભાઇ ભાનુશાળીએ તેમને તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડી તેમના સ્વજનોને જાણ કરી હતી.

જો કે સારવાર દરમિયાન નિરૂભાનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે. બી-ડિવીઝનના પીએસઆઇ આર. આર. રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:26 am IST)