Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રાજકોટમાં દરરોજ 5 કલાક વીજ કાપ મુકાશે : સોમવારથી શહેરના જુદા જુદા વિસ્તારો લાગૂ

દરરોજ અંદાજિત 5 હજારથી વધુ ઘરોમાં અંધારપટ છવાશે : તબક્કાવાર ફીડરો સવારે 7થી બપોરે 12 કલાક સુધી બંધ કરી દેવાશે. જુઓ આપના વિસ્તારમાં કઈ તારીખે વીજપવાર રહેશે બંધ

રાજકોટ: શહેરના વીજગ્રાહકોએ ઉત્તરાયણ બાદ વીજકાપ માટે તૈયાર રહેવું પડશે કારણ કે, પીજીવીસીએલ દ્વારા આગામી તારીખ 17મી જાન્યુઆરીથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવા જઈ રહ્યું છે. 17મીથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર પાવરકાપ મુકાશે જેના કારણે દરરોજ અંદાજિત 5 હજારથી વધુ ઘરોમાં અંધારપટ છવાશે. 11 કે.વી.ની વીજલાઈનમાં સમારકામ કરવાનું હોવાને કારણે 17થી 31 જાન્યુઆરી સુધી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર ફીડરો સવારે 7થી બપોરે 12 કલાક સુધી બંધ કરી દેવાશે.

17મીએ સોમવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને માર્કેટિંગ યાર્ડ ફીડર હેઠળના વિસ્તારો ભગવતી સોસાયટી, ન્યૂ શક્તિ સોસાયટી, રાજારામ સોસાયટી, ટ્રાન્સપોર્ટનગર, અને માર્કેટિંગ યાર્ડ આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. 18મીએ 80 ફૂટ રોડ અને ઉદ્યોગનગર ફીડર હેઠળના વિસ્તારો સોરઠિયાવાડી સર્કલ, અલંગ ચોક, ગોવિંદપરા, 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે. 19મીએ વનરાજ, યોગેશ્વર અને ઢેબર રોડ ફીડર હેઠળના વિસ્તારો ઘનશ્યામ ઇન્ડસ્ટ્રી એરિયા, અટિકા ઇન્ડસ્ટ્રી, આરતી સોસાયટી, સહકાર સોસાયટી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં કામ લદાશે. 20મીએ ભક્તિનગર અને જિલ્લા ગાર્ડન ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7થી 12 સુધી વીજપાવર બંધ રહેશે.

21મીએ લાતી પ્લોટ ફીડરના સંતકબીર સોસાયટી, રાજારામ સોસાયટી, ગોકુલનગર, માર્કેટિંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર્સ સહિતના વિસ્તારોમાં પાવર બંધ રહેશે. 23મીએ આશ્રમ ફીડર હેઠળના ગોવિંદબાગ, રણછોડનગર, અલકા પાર્ક, અંબિકા પાર્ક, શિવશક્તિ પાર્ક સહિતના વિસ્તારોમાં વીજકાપ મુકાશે. 24મીએ શ્રીહરિ અને ખાદીભવન ફીડરના ગુજરી બજાર, રામનાથપરા, હાથીખાના અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાશે. 25મીએ તિરુપતિ અને કેદારનાથ ફીડર હેઠળના વિસ્તારો, 27મીએ ભગવતીપરા ફીડર હેઠળના વિસ્તારો, 28મીએ સપના અને નવદુર્ગા ફીડર હેઠળના એરિયા, 29મીએ જંગલેશ્વર ફીડરના વિસ્તારો અને 31મીએ વાણિયાવાડી અને ગોપાલનગર ફીડર હેઠળના વિસ્તારોમાં 5 કલાકનો વીજકાપ રહેશે.

(11:17 pm IST)