Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ભુગર્ભગટર અને નળકનેકશન બાબતે આપેલા આવેદન પત્ર પ્રશ્ને સગરામભાઇ રાઠોડ પર હુમલો

નવાગામ રંગીલા સોસાયટીમાં બનાવઃ છગન મેર, હરેશ મેર,ઘનશ્યામ મેર,શૈલેષ મેર તથા ચારેયની પત્ની અને પાંચ અજાણ્યા સામે ગુનો

રાજકોટ તા.૧૬: નવાગામ આણંદપર પાસે રંગીલા સોસાયટીમાં કોળી પ્રૌઢે ભુગર્ભગટર અને નળકનેકશન બાબતે આપેલા આવેદન પત્ર બાબતે તેર જેટલા શખ્સોએ પાઇપ તથા લાકડી વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ રંગીલા સોસાયટી પંચવટી ૧માં રહેતા સગરામભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૨) ગઇકાલે પોતાના ઘરપાસે મહાદેવના મંદીર પાસે હતા. ત્યારે છગન મનજીભાઇ મેર,હરેશ,છગન મેર, ઘનશ્યામ છગન મેર, શૈલેષ છગન મેર તથા ચારેયની પત્ની અને પાંચ અજાણ્યા શખ્સો પાઇપ તથા લાકડી લઇને ઘસી આવ્યા હતા અને સગરામભાઇને ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇને પાઇપ તથા લાકડી વડે મારમાર્યો હતો. અને બાઇકમાં તોડફોડ કરી હતી દેકારો બોલતી આસપાસના લોકો એકઠા થઇ જતા તમામ શખ્સો ભાગી ગયા હતા બાદ સગરામભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર-એલ ખટાણા સહિતે સ્થળપર પહોચી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સગરામભાઇએ અગાઉ ભુગર્ભ ગટર અને નળકનેકશન બાબતે આવેદન પત્ર આપેલ હોઇ તે બાબતે છગન મેર તથા તેના પુત્રો સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે સગરામભાઇ રાઠોડની ફરિયાદ પરથી છગન મેર સહિત તેર જેટલા શખ્સો સામે રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)