Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજકોટ જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા ૧૪ ડીસે.ના મેગા લોક-અદાલત

રાજકોટ તા.૧૫: ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા.૧૪-૧૨-૨૦૧૯ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થયા તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં (૧)ફોજદારી સમાધાન લાયક કેસો, (૨)નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩)બેન્ક લેણા ના કેસો (૪)મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫)લગ્નવિષયક કેસો (૬)મજુર અદાલતના કેસો (૭)જમીન સંપાદનને લગતા કેસો (૮)ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯)રેવન્યુ કેસીસ (૧૦)દિવાની પ્રકારના કેસો (ભાડા,સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા)(૧૦)અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ.ગીતા ગોપી મેડમ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહી તેમજ કોઇનો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા.૧૪-૧૨-૨૦૧૯ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક-અદાલતનો મહત્તમ લાભ લઇ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી, લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.

(3:38 pm IST)