Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કોલકતામાં પૂ.નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે સંયમ મહોત્સવનો પ્રારંભઃ ૧૮મીએ દીક્ષા

૩૮ વર્ષ બાદ ૩ મુમુક્ષ બહેનો : મનનું મૃત્યુ ત્યાં મુનિ જીવનનો જન્મ, મનનો જન્મ ત્યાં સંસાર પરનો સંગ ત્યાં સંસાર, પ્રભુનો સંગ ત્યાં સંયમઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૧૫: જેમના શબ્દે-શબ્દે સત્યનું પ્રાગટ્ય થઈ રહ્યું છે એવા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના ચરણ શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલાં મુમુક્ષુ શ્રી હિરલબેન જસાણી, શ્રી ક્રિષ્નાબેન હેમાણી તેમજ શ્રી ચાર્મીબેન સંઘવીનો પરમ સંયમ મહોત્સવ શ્રી કોલકતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ (નવલખા ઉપાશ્રય) અને પારસધામના ઉપક્રમે તેમજ શ્રી કામાણી સંઘ, શ્રી ટોલીગંજ સંઘ, શ્રી હાવડા સંઘ અને શ્રી લીલવા સંઘનાં સહયોગે જયારે આયોજિત કરવામાં આવ્યો છે.

આ કલ્યાણ મહોત્સવનો શુભારંભનો ગગનભેદી શંખનાદ કરતી માતુશ્રી રેખાબેન મિલનભાઈ શાહના આંગણેથી પ્રારંભ થયેલી ભવ્યાતિભવ્ય શાસન પ્રભાવના યાત્રાથી થયેલ. જન સમુદાય વચ્ચે પ્રવેશ કરતાં દીક્ષાર્થીઓને લુક એન લર્નના દીદીઓ દ્વારા ચામર, શંખ આદિ અનેક પ્રકારના શુકનવંતા પદાર્થો સાથે અહોભાવથી વધાવીને,  અષ્ટમંગલના પ્રતિકાત્મક નૃત્ય ગાન સાથે આવકારવામાં આવ્યાં હતાં.

આ અવસરે ગુરૂદેવશ્રીએ અત્યંત મધુર વાણી વહાવતા ફરમાવ્યું હતું કે, ત્યાગધર્મ પ્રત્યે સહુના મસ્તકને નત અને શાસન પ્રત્યે ઉન્નત કરી દેનારા આ નાની નાની વયના દીક્ષાર્થીઓ, અનેક પ્રકારના સ્વપ્નાઓ સજાવવાની ઉંમરે પ્રભુ પંથે પ્રયાણ કરીને સાબિત કરી રહ્યાં છે કે જયાં કોઈ કોઈનું હોતું નથી એવા સપના જેવો આ સંસાર છે. આ સંયમ માર્ગ મનના મૃત્યુનો માર્ગ છે. જયાં મનનું મૃત્યુ છે ત્યાં જ મુનિ જીવનનો જન્મ છે અને જયાં મનનો જન્મ છે ત્યાં સંસાર છે. આજના સમયમાં સંયમ માર્ગ પર એવા જ આત્માઓ પ્રયાણ કરી શકે જેઓએ જનમ જનમથી સંયમની સાધના-આરાધના કરી હોય. આ અવસરે દીક્ષાર્થીઓના માતા-પિતા અને ધર્મ માતા-પિતા દ્વારા અભિનીત અરિહંત કી અદાલત નાટિકાની મનનીય પ્રસ્તુતિ કરેલ.

પૂર્વ ભારતની ત્રણ ત્રણ દીકરીઓનો દીક્ષા મહોત્સવ જયારે પૂર્વ ભારતમાં જ યોજાયો છે ત્યારે શ્રી કોલકાતા ગુજરાતી સમાજ, શ્રી કોલકાતા લોહાણા સમાજ, શ્રી કોલકાતા મિત્ર મંડળ, શ્રી રઘુવંશી કલ્ચરલ કલબ , શ્રી રઘુવંશી ફોરમ, રઘુવંશી ફોરમ મહિલા મંડળ, શ્રી કચ્છી લોહાણા મહિલા મંડળ, શ્રી ખડાયતી વણિક સમાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી બ્રહ્મ સમાજ,  આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સમાજ, સોની સમાજ, પાયલ સોશિયલ કલ્ચર અને કોલકાતા ઝાલાવાડી સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ, કોલકાતા ઝાલાવાડી મહિલા મંડળ આદિ સમસ્ત કોલકાતાની ૧૫ સંસ્થાઓ અને જ્ઞાતિઓ દ્વારા દીક્ષાર્થીઓની ત્યાગભાવનાને અહોભાવથી સન્માનિત કરવામાં આવી હતી.

સાંજે આયોજિત  માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત સાહિત્યકાર સુનીલભાઈ સોનીએ આગવી શૈલીમાં કરાવેલી સંવેદનાસભર વંદનાવલીના દ્રશ્યો ઉપસ્થિત વિશાળ જનસમુદાયની આંખોમાંથી આંસુઓની ધારા વહાવી ગયાં હતાં. એ સાથે જ પરમ ગુરૂદેવશ્રીના ચરણ શરણમાં સાધક જીવનશૈલી વ્યતિત કરીને સંયમ જીવનનું પ્રશિક્ષણ લઈ રહેલાં સાધક દીદીઓ અભિનીત ' સાધના દર્શન'ની પ્રસ્તુતિ દ્વારા સાધનામય જીવનશૈલી નિહાળીને સર્વ ભાવિકોનું મસ્તક અહોભાવથી ઝૂકી ગયું હતું.

કલકત્તાની ધરા પર જન જનના હૃદયમાં સદાને માટે અંકિત થઈ જનારાં પાંચ દિવસીય દીક્ષા મહોત્સવ અંતર્ગત, શનિવાર તા. ૧૬ સવારનાં ૭ કલાકે શ્રી કોલકાતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ (નવલખા ઉપાશ્રય) ખાતે દીક્ષાર્થી આત્માઓની મંડપ મુહૂર્ત વિધિ સાથે ૮:૩૦ કલાકે સંયમ સાધના ધામમાં વિદ્યાર્થીઓ અંતિમ વાર ભાઈની કલાઈ પર રક્ષા બાંધી સ્નેહ બંધન કરશે. એ સાથે જ 'રજોહરણ કી આત્મકથા' નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવશે. સાંજે ૭ કલાકે અઢાર પાપસ્થાનક સંવેદના આધારિત કાર્યક્રમ તેમજ લુક એન લર્નના બાળકો દ્વારા મજા V/S સજાનો વિચારણીય કાર્યક્રમ રજુ કરવામાં આવશે. એ સાથે જ મુમુક્ષુ શ્રી ચાર્મીબહેનનો વિદાય સમારોહ યોજાશે.

મહોત્સવના ચતુર્થ દિવસ તા.૧૭ રવિવારનાં સવારનાં ૭ કલાકે કોલકાતાના રાજમાર્ગો ગુંજી ઉઠશે વિરતી વિજયયાત્રાના જયદ્યોષથી. આ યાત્રા ૪૧, એલ્ગીન રોડ, નીલકમલ એપાર્ટમેન્ટ ખાતેથી પ્રારંભ થઈને સંયમ સાધના ધામ પર વિરામ પામશે. ત્યારબાદ ભાવવાહી કાર્યક્રમ માતૃપિતૃ વંદના તેમજ મુમુક્ષુ શ્રી હિરલબેન અને ક્રિષ્નાબેનનો વિદાય સમારોહ આયોજિત થશે. ઉપરાંત માં ચિંતનીય નાટિકા 'જયોતિર્મય એવમ્ સંબંધોની રિયાલિટી'ની પ્રસ્તુતિ કરવામાં આવશે.

મહોત્સવના અંતિમ દિન તા. ૧૮ સોમવાર સવારનાં ૭ કલાકે દીક્ષાર્થીઓના સ્વગૃહેથી મહાભિનિષ્ક્રમણ યાત્રા પ્રારંભ થઈને સંયમ સાધના ધામ પહોંચ્યા બાદ એમના ભવોભવનુ કલ્યાણ કરી દેનારો મંગલમય 'દીક્ષા મહોત્સવ' સવારનાં ૮ કલાકથી પ્રારંભ કરવામાં આવશે.

૩૮ વર્ષના લાંબા સમય બાદ કોલકાતાની ધરા પર ઉજવાઇ રહેલા ત્રણ ત્રણ મુમુક્ષુ આત્માઓના પરમ કલ્યાણકારી એવાં દીક્ષા મહોત્સવનાં દરેકે દરેક અવસરોમાં પધારી આત્મહિત સાધવા શ્રી સંઘ તરફથી સર્વને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યાં છે. દીક્ષા મહોત્સવના દરેક કાર્યક્રમ સંયમ સાધના ધામ, નોર્ધન પાર્ક, કોલકતા ખાતે રાખવામાં આવ્યા છે.

(3:37 pm IST)