Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સોમવારે સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યાદગાર સંગીત સંધ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૫માં સ્થાપના દિનની ઉજવણી અન્વયે : 'ગુજરાતનું ગૌરવ' અને બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા રેસકોર્ષના રમેશ પારેખ રંગદર્શન ખાતે યુવાધનને ડોલાવશે : આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉમટી પડવા સ્ટે. ચેરમેન ઉદય કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાનો અનુરોધ

રાજકોટ તા. ૧૫ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારિક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે આપણા કોર્પોરેશનના ૪૫માં જન્મદિન નિમિત્ત્।ે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર કે જેઓએ હિન્દી ફિલ્મો તથા ગુજરાતી ફિલ્મોમાં પોતાના સુરીલા કંઠથી ગુજરાતમાં નહિ પણ ભારતભરમાં સંગીતના માધ્યમથી પોતાની પ્રસિદ્ઘિ મેળવી છે. ઐશ્વર્યા મજમુદાર રાજકોટમાં તા.૧૯ નવેમ્બરના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓડીટોરીયમ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

બોલીવુડના સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત આ મ્યુઝીકલ નાઈટ શહેરીજનો માટે યાદગાર બની રહેશે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું. આ અંગે સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષ વાગડિયાએ જણાવ્યું હતું. મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ  મોહનભાઈ કુંડારિયા રહેશે. પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કૌશિકભાઈ શુકલ, કલ્પકભાઈ મણિયાર, કિરીટભાઈ કુંડલીયા, અતિથિવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ વિશેષ માહિતી અપાતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં અલાયદી બેઠક વ્યવસ્થા, સ્ટેજ સહિતની સુવિધા તથા કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા સંપૂર્ણપણે શાનદાર આયોજન કરવામાં આવી રહેલ છે.

બોલીવુડ સીંગર રિચા શર્માએ છેલ્લી ઘડીએ ના પાડી દિધી

રાજકોટ : ૧૯ નવેમ્બરે મ્યુ. કોર્પોરેશન દ્વારા બોલીવુડની પ્રસિધ્ધ સીંગર રીચા શર્માની સંગીત સંધ્યા યોજવાનું નકકી થઇ ગયેલ પરંતુ શુટીંગની વ્યવસ્તતાનાં ટેકનીકલ કારણોસર રિચા શર્માએ છેલ્લી ઘડીએ રાજકોટ આવવાની ના પાડી દેતાં કાર્યક્રમનાં કલાકાર ફેરવવા પડયા છે. તેમ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડીયાએ જણાવ્યું હતું.

(3:44 pm IST)