Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજનગર ચોક શાસ્ત્રીનગરમાં ૩૮ વર્ષના નિમેષ ચોહાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

મુળ વઢવાણનો યુવાન એકાદ વર્ષથી ભાડેથી રહેતો'તોઃ દેણામાં આવી ગયાની ચર્ચા

જ્યાં બનાવ બન્યો તે ઘટનાસ્થળ, રૂમમાં પલંગ પર પડેલો યુવાનનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧પઃ રાજનગર ચોક શાસ્ત્રીનગરમાં છેલ્લા સવા વર્ષથી ભાડે રહેતા સુરેન્દ્રનગરના વઢવાણનો યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  દેણામાં આવી જતા તેણે આ પગલુ ભર્યું હોવાની ચર્ચા જાગી છે.

મળતી વિગત મુજબ રાજનગર ચોકમાં શાસ્ત્રીનગરમાં સંજયભાઇ ખેરડીયાના મકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ભાડે રહેતા નિમેષભાઇ ચંદ્રકાન્તભાઇ ચૌહાણ (ઉ.વ.૩૮) એ સવારે મકાનના પહેલા માળે બેડ રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવના પગલે લોકોના ટોળા એકઠા થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.કે. પાડાવદરા તથા રાઇટર હરેન્દ્રસિંહે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક નિમેષભાઇ અગાઉ નવલનગરમાં રહેતા હતા, બાદ છેલ્લા સવા વર્ષથી તે શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતાં તેના આશરે ચાર માસ પહેલા છૂટાછેડા થઇ ગયા  હતા. તે રાજકોટમાં રાધે માર્કેટના નામે ટેલી માર્કેટીંગ, ડીસ્ટ્રીબ્યુટર્સ ચેનલ, વેબસાઇડ ડેવલોપીંગ, ફેસબુક પેજ અપડેટ, વોટસએપ ઇમેજનું માર્કેટીંગનું કામ કરતા હતાં. તેની સાથે પાંચથી છ કર્મચારી કામ કરતા હોઇ સવારે કોઇ કર્મચારી ઘરે આવ્યો ત્યારે નીમેષભાઇએ દરવાજો ન ખોલતા તેણે તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. તેના મિત્રના જણાવ્યા મુજબ નીમેષભાઇના છૂટાછેડા બાદ તે રાજકોટમાં એકલા રહેતા હતાં. તે દેણામાં આવી જતા છેલ્લા થોડા દિવસથી તે માનસીક ટેન્શનમાં રહેતા હતા તેની દવા પણ ચાલુ હતી.

આ અંગે આ યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:48 pm IST)