Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર યોજના-૧ અને ૨ અન્વયે ૩૭૧૫ નાના વ્યવસાયીઓની અરજીઓ મંજૂર

૨૮૭૯ લોકોને રૂ. ૩૬.૭૬ કરોડની માતબર રકમ લોન પેટે ચૂકવાઇ

રાજકોટ તા.૧૫ : કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક મહામારીને લીધે લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગારને વિપરીત અસર થઇ છે. નાના શ્રમિકો વ્યાવસાયિકો, કારીગરો અને મધ્યમ વર્ગને આર્થિક સંકળામણમાંથી ઉગારવા અને અર્થતંત્રને ફરીથી વેગવંતુ અને આત્મનિર્ભર બનાવવા રાજય સરકાર દ્વારા ૨૨.૫.૨૦૨૦થી આત્મા નિર્ભર - ૧ અને ૧ જુલાઈ-૨૦૨૦થી આત્મ નિર્ભર -૨ યોજનાઓ અમલી બનાવી સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દુરંદેશીતા અને નિર્ણાયકતા દર્શાવી છે.

રાજકોટ જિલ્લામાં આ આત્મનિર્ભર-૧ યોજના અંગે રાજકોટ જિલ્લા સહકારી રજીસ્ટ્રારશ્રી ટી. સી. તિર્થાણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે ગઇકાલ તા.૧૪.૭.૨૦૨૦ સુધીમાં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર યોજના ૧ હેઠળ કુલ ૩૭૧૦ લોન મંજૂર થઈ છે જે પૈકી ૨૮૭૯ લોકોને રૂ. ૩૬.૭૬ કરોડ રકમ લોન પેટે ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મ નિર્ભર-૨ યોજનાની ૧૭ લોન કેસ મંજૂર થયા છે.

     મંજુર કરેલ લોન પૈકી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કુલ ૨૭૧૫, ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા ૨૯૦, સીટીઝન નાગરિક સહકારી બેંક દ્વારા ૩૮,  જીવન સહકારી બેંક દ્વારા ૧૫, પાર્શ્વનાથ બેંક દ્વારા ૪, રાજકોટ જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ૪૦૦, રાજ બેંક દ્વારા ૬૪ લોન મંજૂર કરવામાં આવેલ છે. જયારે રાજકોટ કોમર્શિયલ બેંક દ્વારા ૮, વિજય કોર્મશીયલ કો.ઓપ.બેંક દ્વારા ૩૦ લોન મંજૂર કરવામાં આવેલ છે અને વિવિધ મંડળીઓ દ્વારા ૧૩૩ લોન મંજૂર કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આત્મ નિર્ભર ૧ યોજનામાં શહેરી નાગરિક સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, જનરલ  શરાફી મંડળઓ મારફત ૧ લાખ રૂપિયાની મર્યાદામાં બિન તારણ લોન આપવામાં આવે છે. જેમાં વ્યાજનો દર માત્ર ૮ ટકા રહેશે. આ ૮ ટકા પૈકી ૨ ટકા લોન લેનારે આપવાના રહેશે અને બાકીના ૬ ટકા રાજય સરકાર તરફથી વ્યાજ સબસિડી મળશે. આ યોજનાનો સમયગાળો ૩ વરસનો રહેશે. જે પૈકિ પ્રથમ ૬ મહિનાનો સમય ગાળો મોરેટીમય પરીયડ ગણાશે. જયારે લોન લેનારે બાકીના ૩૦ મહિનામાં વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે. આ યોજના હેઠળ લોનને સ્ટેમ્પ ડયુટી અંને પ્રોસેસિંગ ચાર્જમાંથી રાજય સરકારે મુકિત આપેલ છે તથા સામાન્ય રીતે સહકારી સંસ્થાઓ દ્વારા લોન આપતી વખતે કરવામાં આવતી શેર કપાત પણ થશે નહિ.

 જુલાઇ-૨૦૨૦થી અમલી આત્મનિર્ભર ૨ યોજના પણ તારણ વાળી લોન વ્યાજ સહાય યોજના છે. આ યોજના હેઠળ અર્બન નાગરિક સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા તારણ લઈને રૂ.૧ લાખ થી ૨ લાખ પચાસ હજાર સુધીની લોન મંજૂર કરવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો ૩ વરસનો રહેશે. જે પૈકી પ્રથમ ૬ મહિનાનો સમય ગાળો મોરેટીમય પરીયડ ગણાશે. જેનો વ્યાજનો દર પણ ૮ ટકા છે જે પૈકી ૪ ટકા વ્યાજ લોન લેનારે ભરવાના રહેશે અને બાકી ના ૪ ટકા રાજય સરકાર દ્વારા વ્યાજ સહાય આપવામાં આવશે.

(4:13 pm IST)