Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

વિડીયો : ખુશ્બુએ રવિરાજસિંહને ગોળીએ દીધા બાદ પોતે આત્મહત્યા કરી !! : બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો : રવિરાજસિંહના લગ્નના લીધે બન્ને ઘણી વખત ઝગડા થતા : ચોંકાવનારું સત્ય ખુલ્યું : વિગતો જાહેર કરતા ડીસીપી જાડેજા

ખુશ્બુના શરીર પરથી ગન પાવડર મળ્યો : ચારેય ફાયરિંગ ખુશ્બૂએ કર્યાનું તારણ : બન્ને પતી પત્નીની જેમ મેસેજ કરતા : હજુ વધુ તપાસ થશે : તાલુકા પોલીસે પ્રેસ કોન્ફ્રન્સમાં સિલસિલાબંધ વિગતો જાહેર કરતા DCP જાડેજા

રાજકોટ : રાજકોટ યુનિવર્સીટી પોલીસ મથકના એએસઆઈ ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના મૃત્યુમાં ચોંકાવનારી વિગત ખુલી છે જેમાં બંને ફાયરિંગ ખુશ્બૂએ કર્યા હોવાનુ તાલુકા પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જાહેર કરી છે પ્રેસ કોન્ફ્રન્સમાં ખુશ્બૂએ રવિરાજસિંહ પર ફાયરિંગ કરીને રવિરાજસિંહના ખોળામાં માથું રાખીને પોતાના પર ફાયરિંગ કરીને આપઘાત કર્યો હતો તેવું ફલિત થયાનું જાહેર થયું છે.

  રાજકોટના મહિલા એએસઆઈ અને કોન્ટેબલના મોત અંગે તપાસના અંતે આજે રાત્રે તાલુકા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સમાં મૃત્યુ અંગેની વિગતો જાહેર કરી છે જેમાં જણાવ્યા મુજબ સ્થળના પંચનામા,દરમિયાન બંનેના ફિંગર પ્રિન્ટ ગ્લોબ પિસ્તોલ અને ફૂટેલ કાર્ટીઝ મ્બ્યુલેટ અને જીવતા કાર્ટીઝ મળી આવેલ હોય અને બંનેના કપડાં એફએસએલમાં તપાસ માટે મોકલાયા હતા.

 કબ્જે થયેલ મુદામાલ અને પીએમના આધારે એ સ્પષ્ટ થાય છે કે મરણ જનાર રવિરાજસિંહના માથાના ભાગે જે બુલેટ વાગી હતી હતી તે ડિસ્ટન્સ ફાયરિંગ છે અને મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબારને જે બુલેટ વાગી તે એકદમ નજીકથી વાગી છે તથા મહિલા એએસઆઇના શરીરમાં ગન પાવડર મળી આવેલ છે જે આધારે મહિલા એએસઆઇએ બંને ફાયરિંગ કર્યા હતા જે પુરાવાના આધારે ફલિત થાય છે .

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.11મીએ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા એએસઆઈ ખુશબુ કાનાબારનો ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

   પ્રાથમિક અનુમાન એવું હતું કે રવિરાજે ખુશબુની સરકારી પિસ્તોલમાંથી ખુશબુની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે. રવિવારજ પરિણિત હતા અને ખુશબુ અપરિણિત હતી પરંતુ બંને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ મામલે પોલીસે શરૂ કરેલી તપાસમાં નાટકિય વળાંક આવ્યો છે ગોળી રવિરાજે નહીં પણ ખુશબુએ ચલાવી હતી અને તે પછી ખુશબુએ આપઘાત કર્યો હતો.

  પોલીસને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટના સ્થળની સ્થિતિને ધ્યાને લઈ એવું અનુમાન કર્યું હતું કે, રવિરાજે ખુશબુની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. ખુશબુ અને રવિરાજ એક બીજા સાથે લગ્ન કરવા માગતા હતા પણ રવિરાજ પરિણિત હતો, એક પુત્રીનો પિતા હતો અને રવિરાજ તથા ખુશબુની જ્ઞાતિ પણ અલગ હતી. જેના પરિણામ સ્વરૂપ તેમના લગ્ન મુશ્કેલ હતા તેના કારણે આ ઘટના બની હોવાનું પોલીસ માની રહી હતી.

  આ ઘટના  બાદ રાજકોટ પોલીસ દ્વારા બેલેસ્ટિક એક્સપર્ટની મદદ માંગી હતી ઘટના સ્થળે અનેક વખત પોલીસ અને ફોરેન્સીક એક્સપર્ટે વિઝિટ કર્યા બાદ ફોરેન્સીક એક્સપર્ટે રિપોર્ટ આપ્યો કે, રવિ જે હાથે પિસ્ટલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાં તેને ગોળી વાગી હતી. જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. રવિરાજના શરિરમાં થયેલી ઈજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ગોળી ચાલી હોય તે પ્રકારનું હતું. આમ રવિરાજે આત્મહત્યા નહોતી કરી તે સ્પષ્ટ થયું હતું.

   ખુશબુના હાથ અને કપડાં પર ગન પાઉડર મળી આવ્યો હતો. ફોરેન્સીક સાયન્સ પ્રમાણે જે વ્યક્તિ ગોળી ચલાવે તેના હાથ પર ગન પાઉડર મળે છે. પણ રવિરાજના હાથ અને કપડાં પર ગનપાઉડર મળી આવ્યો ન હતો જ્યારે ખુશબુના હાથ અને કપડાં પર ગન પાઉડર હતો. આમ ખુશબુએ જ ગોળી ચલાવી તે સ્પષ્ટ થયું હતું.

 રવિરાજની હત્યા બાદ ખુશબુએ તેના ખોળામાં માથુ મુકી પોતાના માથામાં ગોળી ચલાવી હતી. કારણ કે ખુશબુના શરીરમાંથી મળેલી ગોળીની ઝડપ પોઈન્ટ બ્લેન્કની હતી. કારણ કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે મૃત રવિરાજના ખોળામાં ખુશબુનું માથું હતું.

પોલીસ કોણે હત્યા કરી અને કોણે આત્મહત્યા કરી તે નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે પરંતુ મજબૂત કાળજાની ખુશબુએ કયા સંજોગોમાં અને કયા કારણસર રવિરાજની પહેલા હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી.

   ઘટના સ્થળે પહોંચેલી પોલીસને નજીકના પલંગ પર કાર્ટીસ ભરેલું એક મેગેઝિન મળી આવ્યું હતું. ખુશબુ ક્યારેય પોતાનું વેપન લોડેડ ન્હોતી રાખતી તેવું તેના સાથીઓનું કહેવું છે. એટલે રવિરાજ અને ખુશબુ વચ્ચે કોઈક મામલે તંગદીલી સર્જાયા બાદ ઉશકેરાયેલી ખુશબુએ પોતાની પિસ્ટલ અને કાર્ટિસ બહાર કાઢ્યા અને તેમાં કાર્ટિસ લોડ કર્યા તેવું ઘટના સ્થળની સ્થિતિના કારણે લાગી રહ્યું છે. જોકે આ તમામ સ્થિતિ વચ્ચે રવિરાજ એવું માનતો હશે કે ખુશબુ તેને ગોળી મારશે નહીં માટે તેણે ખુશબુને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં હોય તેવું પોલીસ માની રહી છે.

ખુશબુ સાથે કામ કરનાર મહિલા અધિકારીઓના કહેવા પ્રમાણે, ખુશબુ જ્યારે ફરજ પર ન હોય ત્યારે તે કોઈપણ સામાજીક પ્રસંગે નીકળતા પહેલા મેકઅપ કરતી હતી અને પ્રસંગમાંથી પરત આવ્યા બાદ તે મેકઅપ ઉતારી, નવા કપડા બદલી બાકીના કામો કરતી હતી. આ તેની કાયમી ટેવ હતી. પણ જ્યારે મહિલા સાથીઓએ ખુશબુનો મૃતદેહ જોયો ત્યારે ખુશબુના ચહેરા પરનો મેકઅપ યથાવત હતો. આમ રવિરાજ અને ખુશબુ કોઈ એક પ્રસંગમાંથી ઘરે પરત ફર્યા બાદ તેમની વચ્ચે એવી કોઈ બાબત બની કે તેમના વચ્ચે આ ઘટના ઘટી ગઈ.

(11:43 pm IST)