Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

જૈનાચાર્યો - ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી - મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટ : ગુજરાતના વિવિધ જૈન તિર્થસ્થાનો પર જૈનાચાર્યો અને ભગવંતો ચાલતા પ્રવાસ કરે છે ત્યારે તેમને રોડ અકસ્માત નડે નહી એ માટે રાજય સરકાર વિશેષ પગદંડીઓ બનાવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે આ વાત કરી હતી.

રૂપાણીએ કહ્યુ કે, “ગુજરાત રાજય ઈન્ફા સ્ટ્રકચર તથા ઉદ્યોગક્ષેત્રે નંબર વન છે. પરંતુ ગુજરાત આપણું આધ્યાત્મિક ચેતનાથી ઉભરતું રહે તે પ્રકારની સંસ્કારિતાથી ભાવિ પેઢીને દિશા સુચન કરે તે પ્રકારનું ગુજરાત બનાવીએ. ગુજરાતની પ્રતિષ્ઠા ખુબ આગળ વધેએ એ આપણો સંકલ્પ રહેવો જોઇએ. પ્રત્યેક જીવોની ચિંતા કરવાની જવાબદારી રાજયની છે. પ્રત્યેક જીવો પ્રત્યેની ચિંતા રાજધર્મની હોવી જોઇએ. જૈન સમાજે પણ દરેક જીવોની ચિંતા કરેલી છે.જીવદયા એટલે સુક્ષ્મ જીવો માટે કરૂણાએ આપણા સંસ્કાર અને સ્વભાવ છે. તમામ જીવો પ્રત્યે ભાવ અને કરૂણા હોવી જોઇએ ભગવાન મહાવીર પ્રબોધેલ અહિંસા પરમોધર્મના સિધ્ધાંતને દુનિયાએ સ્વીકાર કરેલો છે.

રાજકોટમાં રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા ગુરૂદેવ શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, પૂજય ગુરૂદેવ શ્રીનમ્ર મુની મહારાજ સાહેબ આદિ-૭૫ સંત-સતિજીઓના સમુહ ચાતુર્માસ અવસર પ્રસંગે શુભકામના વ્યકત કરતા મુખ્યમંત્રીએ સંબોધન કર્યુ હતુ.

રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે, “દેશમાં સૌપ્રથમ ગૌવંશ હત્યા અટકાવવા ગુજરાતે કડક કાયદાઓ બનાવેલ છે.રાજય સરકાર દરેક જીવોની ચિંતા કરીને કરુણા અભિયાન શરૂ કરેલી છે. આ માટે ૧૯૬૨ હેલ્પલાઇન શરૂ કરી છે. અને દરકે જિલ્લામાં પશુ પક્ષીઓના સારવાર માટે એમ્બયુલન્સ વાનની વ્યવસ્થા કરાયેલી છે. આ ઉપરાંત, પદયાત્રા કરતા સાધુ સંતો તથા સાધ્વીજીઓના રોડ અકસ્માતમાં મૃત્યુ ન થાય તે માટે રાજય સરકારે પાલીતાણાથી વલ્લભીપુર સુધી પગદંડી બનાવવા રૂ ૨૫૦ કરોડના ખર્ચના પ્રોજેકટનું કામ ચાલી રહ્યુ છે. બીજો પ્રોજેકટ શંખેશ્વરથી અમદાવાદ સુધીનો કરી રહયા છીએ. ગુજરાતના આઠ મોટા યાત્રાધામદમાં ૨૪ કલાક સ્વછતા રહે અને પવિત્ર વાતાવરણ રહે તે પ્રકારની વ્યવસ્થા કરાયેલી છે.”

રાષ્ટ્ર સંત ગુરૂદેવ નમ્ર મુનિ મહારજ સાહેબે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે, “અમે સંતો દરેક સમાજના છીએ. સાધુ કોઇ એક કોમના ન હોય શકે અને સંતો પરમાત્માના સર્વિસ પ્રોવાઇડર છીએ. એક માનવી બીજા માનવી સાથે જોડી શકે તે સંત છે. જે જોડે તે ધર્મ છે અને તોડે તે અધર્મ છે.”

(11:35 pm IST)